Abtak Media Google News

વિસ્થાપિત શ્રમિકોને આગામી બે માસ માટે નિ:શુલ્ક ૫ કિલો અનાજ આપવાનું સરકારનું લક્ષ્યાંક: ૧૨૦ કરોડ રૂપિયા આ યોજના અંતર્ગત ગુજરાત રાજયને પુરા પાડવામાં આવ્યા

કોરોનાનાં કારણે સમગ્ર વિશ્ર્વમાં જયારે મહામારી ફેલાઈ છે ત્યારે ભારતમાં મોદી સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં દરેક લોકોને પુરતુ અનાજ નિ:શુલ્ક ધોરણે મળતું રહે તે માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કોવિડ-૧૯ની પરિસ્થિતિ મુજબ સ્થળાંતરીત થનાર પ્રવાસી કામદારોને વર્તમાન સમયગાળા દરમિયાન નિ:શુલ્ક અનાજ મળી રહે તે માટે એફસીઆઈ આ યોજનામાં અનાજની ફાળવણી અને વિતરણ વ્યવસ્થાની સંપૂર્ણ કાળજી લીધેલ છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા લેવામાં આવેલા આર્થિક પગલા હેઠળ વિસ્થાપિત લોકોને વ્યકિતદીઠ મે અને જુન માસમાં ૫ કિલો અનાજ આપવામાં આવશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. આ અંતર્ગત આ યોજનાથી પુરતા પ્રમાણમાં એફસીઆઈ દ્વારા રાજય સરકારને અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેને લઈ સરકાર દ્વારા પ્રાથમિકતા પણ આપવામાં આવી છે.

Img 20200510 Wa0004

ગુજરાત રાજયમાં અંદાજે સ્થળાંતરીત કામદારોની સંખ્યા ૩૮ લાખની છે ત્યારે તેઓને આગામી બે માસ માટે દર મહિને વ્યકિત દીઠ ૩.૫૦ કિલો ઘઉં અને ૧.૫૦ કિલો ચોખા આપવામાં આવશે. આશરે ૨૬,૭૭૭ મેટ્રીક ટન ઘઉં અને ૧૧,૪૭૬ મેટ્રીક ટન ચોખા સમાવેશ કરવામાં આવ્યા છે જે કુલ મળી ૩૮,૨૫૩ મેટ્રીક ટનનો કુલ અનાજનો જથ્થો થશે. એફસીઆઈ એટલે કે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિતરણ વ્યવસ્થાની સંપૂર્ણ કાળજી લેવા અને અનાજની યોગ્ય ફાળવણી કરવા ભારત સરકાર દ્વારા તમામ રાજય સરકારને આદેશો અને સુચનો આપવામાં આવેલા છે તથા વિતરણ વ્યવસ્થાનો પુરો ખર્ચ ભારત સરકાર દ્વારા ભોગવવામાં આવશે તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે.

સમગ્ર ભારતમાં આશરે ૮ કરોડ પરપ્રાંતિય કામદારો અને સ્થળાંતરીતોને આ યોજનાનો લાભ મળશે. સ્થળાંતરીત લોકોની દુર્દશા ન થાય અને કોઈપણ કપરી સમસ્યાનો સામનો કરવો ન પડે તે લક્ષ્ય સાથે સરકાર દ્વારા આ આયોજનને અમલી બનાવવામાં આવ્યું છે. ગુજરાત રાજયમાં આ યોજના અંતર્ગત રૂા.૧૨૦ કરોડ પુરા પાડવામાં આવેલા છે. રાજય સરકારને આ યોજના અંતર્ગત તા.૧૮ મે સુધી સ્થળાંતર કરાયેલા અથવા તો અટવાયેલા કામદારોને અનાજ વિતરણ માટે એફસીઆઈ દ્વારા ૬૮૩૩ મેટ્રીક ટન અનાજ પુરુ પાડવામાં આવ્યું છે. આ સમગ્ર વ્યવસ્થા માટે એફસીઆઈનાં સીએમડી ડી.વી. પ્રસાદ તથા એફસીઆઈ ગુજરાતનાં જનરલ મેનેજર આસીમ છાબડાની રાહબરી હેઠળ ઉચિત અનાજ વિતરણ પ્રણાલીને અમલી બનાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.