Abtak Media Google News

પત્નીના માર્ગ અકસ્માતમાં મોત થતા બાળકોની દેખભાળ ન કરી શકતા હોવાથી કરી હત્યા 

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અણીયાળી ગામે માસુમ બે સંતાનોને ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારી પિતાએ આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક તપાસમાં દોઢ માસ પૂર્વે પરિણીતાનું અકસ્માતમાં મોત થતાં સંતાનોની દેખભાળ ન કરી શકવાના કારણે બંને માસુમ સંતાનોની નિર્દયતાથી હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવ્યાનું બહાર આવ્યું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવ તાલુકાના અણીયાળી ગામે રહેતા ધીરજ મોહન લાડવા નામના ૪૫ વર્ષીય પ્રૌઢે પોતાના દોઢ વર્ષના પુત્ર શિવમ અને ચાર વર્ષની પુત્રી દેવર્ષિને ગળેટુંપો આપી હત્યા કરી ધીરજ લાડવાએ આપઘાત કરી લીધાનું પોલીસમાં નોંધાયું છે.

ધીરજ લાડવાની પત્ની વનિતાબેન દોઢ માસ પૂર્વે માર્ગ અકસ્માતમાં મોત નિપજયું હતું. પત્નીના મોત બાદ પોતાના માસુમ સંતાનોનું શિવમ અને દેવર્ષિની દેખભાળ સહિતની જવાબદારી પોતાના પર આવી પડતા બન્ને સંતાનોની માતાની જેમ સાર સંભાળ રાખી ન શકતા હોવાના કારણે બન્નેને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કરી લેતા દોઢેક માસમાં મિસ્ત્રી પરિવારના ચાર સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફેલાયું છે.પોલીસ મૃતક ધીરજ લાડવા સામે બે સંતાનોની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.