Abtak Media Google News

પહેલા વાસ્તવિક બજાર કિંમતના ૪૦૦ ટકા મુજબ ગામ દીઠ વળતર જાહેર કરો પછી જ માપણી કરો

નવસારી નજીકનાં કછોલગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આજે માપણી કરવા આવેલા અધિકારીઓને ખેડૂતોએ અટકાવતા માપણી મુલત્વી રાખવામાં આવી હતી. ખેડૂતોએ પહેલા વાસ્તવિક બજાર કિંમતના ૪૦૦ ટકા મુજબ ગામદીઠ વળતર જાહેર કરો પછી જ માપણી થશે તેમ જણાવી વિરોધ દર્શાવ્યો હતો.

નવસારી નજીક આવેલા કછોલ ગામેથી પસાર થનારી બુલેટ ટ્રેન માટે આજે બપોરે સરકારી કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે માપણી માટે ગયા પરંતુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અસરગ્રસ્ત ખેડૂત સંઘર્ષ સમિતિના નવસારી જિલ્લાનાં સેક્રેટરી આશિષભાઇ અને ગામના ૬૦ જેટલા ખેડૂતોએ એકસૂરે વિરોધ દર્શાવ્યો હતો અને પહેલા વાસ્તવિક બજાર કિંમતના ૪૦૦ ટકા મુજબ ગામદીઠ વળતર જાહેર કરવા માંગણી કરી હતી અને લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું કે, છેલ્લા સાત વર્ષથી જંત્રી સ્થગિત છે. જે હાલની બજાર કિંમતના ફકત ૫ થી ૧૦ ટકા જેટલી કિંમતની છે. છેલ્લા સાત વર્ષમાં ૯૮ ટકા દસ્તાવેજો થયા છે.

તે ઘણી નીચી રકમના છે. જંત્રી કિંમતે થયા છે. કછોલ ગામનાં બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂત સંઘર્ષ સમિતિના સભાસદ ખેડૂતોએ નવા જમીન સંપાદન કાયદાની સ્પષ્ટ જાણકારી અને બુલેટ ટ્રેન કંપનીની બોગસ જંત્રી આધારિત નજીવી કિંમતે જમીન પડાવી લેવાની તજવીજ જાહેર થઇ જતાં માપણી મુલત્વી રાખવાની ફરજ પાડી હતી. આ જોતાં સરકારે ગામદીઠ પ્રથમ વળતર નક્કી કરવું જરૃરી બન્યું છે. અને તો જ માપણી અને જમીન સંપાદનની કામગીરી આગળ વધશે તેમ જણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.