Abtak Media Google News

ત્રાસી આંખ ધરાવનાર દર્દીઓને વિનામૂલ્યે નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે : દેશ-વિદેશના આંખના નિષ્ણાંત ડોકટરોની ખાસ સેવાઓનો આ કેમ્પમાં લાભ મળવાનો છે

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર. દોશી આંખની હોસ્પિટલ દ્વારા વર્ષ ૨૦૧૬ થી શરૂ કરાયેલ “મેગા આઈ કેમ્પ” માં છેલ્લા ત્રણ કેમ્પોમાં સૌરાષ્ટ્ર-કચ્છના ૮ જીલ્લાઓના કુલ ૫૪૬૯ આંખના-ત્રાંસીઆંખના દર્દીઓને તપાસી ૪૫૩ ઓપરેશન કરવામાં આવ્યા છે. આ ઓપરેશન માટે ડો. સોનલ ગાંધી જેવા વિશ્વવિખ્યાત બાળ આંખ રોગોના નિષ્ણાંત સહિત સાત આંખનાં સર્જનોની સેવાઓ મળી છે.

આગામી ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ થી ૨ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી આંખના દર્દો તથા ત્રાંસીઆંખના વિનામૂલ્યે ઓપરેશન માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દર્દીઓની સાથે બે વ્યક્તિઓને રહેવા તથા જમવાની વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરી આપવામાં આવેલ છે. આ કેમ્પમાં દેશ-વિદેશના નિષ્ણાંત ડોકટરો સેવા આપવાના છે. બાળકોના આંખના રોગોની સંપૂર્ણ નાબૂદ કરવાના અભિયાન હેઠળ આ ટ્રસ્ટની સુપર સ્પેશ્યાલિટી આંખની હોસ્પિટલની માન્યતા મળેલ છે.

Img 20190129 Wa0052

લંડન અને અમેરિકાના ઉદારદિલ દાતાઓ દ્વારા અપાતા દાનથી યોજાતા આ કેમ્પોમાં દવાઓ પણ મફત આપવા સાથે આવા દર્દીઓની ફરીથી તપાસ સારવાર કરવાની થાય તો તે પણ મફત કરી આપવામાં આવે છે. વર્ષ ૨૦૦૪માં શરૂ થયેલ આ આંખની હોસ્પિટલમાં દર વર્ષે ૨૦ થી ૨૩ હજાર દર્દીઓની આંખની તપાસ તથા સારવાર થાય છે તથા એક હજાર જેટલા મોતીયા, ઝામર, વેલ, પડદાના ઓપરેશન થાય છે જેમાં અડધા દર્દીઓની આંખની તપાસ તથા ૫૦૦ જેટલા ઓપરેશન મફત કરાય છે.

દરેક મહિનાના દર ચોથા શનિવારે ત્રાંસી આંખનો બાળકોના કેમ્પ માટે વડોદરાના ડો. જેઠાણી, મુંબઈના ડો. રોશનીબેન દેસાઈ તથા નાગપુરના ડો. વરદાબેન સેવાઓ આપે છે કાયમી સેવાઓ ડો. મિલાપ જોશી આપી રહ્યા છે. આ મેગા કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશન માટે આંખની હોસ્પિટલના ફોન નંબર ૦૨૮૨૮ ૨૨૨૦૮૨ તેમજ મોબાઇલ નંબર ૭૬૦૦૪૪૦૦૨૨ પર નોંધાવી શકાશે. આ કેમ્પમાં વધુમાં વધુ દર્દી લાભ લઇ શકે તે માટે ટ્રસ્ટના પ્રમુખ લલીતભાઇ મહેતા, સેક્રેટરી મનુભાઈ મહેતા, ઉપપ્રમુખ અનુભાઈ મહેતા, મુખ્ય અધિકારી નીખિલભાઈ મહેતા તેમજ મેનેજર ધવલભાઇ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.