Abtak Media Google News

આજના ૨૧મી સદીના આ યુગમાં વિશ્વના કોઇપણ દેશ માટે મહત્વનો અને ચર્ચાસ્પદ મુદ્દો છે આંતરરાસ્ટ્રીય સંબંધોનો. તેમાં પણ દ્રીપક્ષીય સંબંધોને સતત મજબૂતાઈ આપવા વૈશ્વિક વ્યાપાર એક અનિવાર્ય પરિબળ છે. સ્થાનિક વેપાર સાથે સાથે વિશ્વના દેશો સાથેનો વેપાર વિકાસશીલમાંથી વિકસિત બનવામાં કોઈ પણ દેશને માટે ‘મેવા’ સમાન છે. કારણ કે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા વિદેશીભંડોળ એકઠું થાય છે અને તેનાથી અર્થતંત્રની મજબૂતાઈનો પાયો નક્કી થાય છે. વિશ્વના દેશો વચ્ચે થતા આ વેપાર પર દેખરેખ અને તેનું નિયમન કરવાનું કામ કરે છે WTO કે જેનું પૂરું નામ છે વિશ્વ વ્યાપાર સંગઠન. પરંતુ હાલ કોરોના મહામારી વચ્ચે આ સંગઠન અને તેના કાર્ય પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. મુદ્દો એટલો વ્યાપક બની ગયો છે કે wtoને હંમેશને માટે બંધ કરી દેવા પર પણ વાત ચાલી રહી છે. પરંતુ શું WTO વગર વિશ્વ વ્યાપાર શક્ય છે?? WTOના હોવા છતાં પણ ઘણાં સંઘર્ષો ઊભા થાય છે. એમાં પણ સંગઠનનું અસ્તિત્વ મટાડી દેવામાં આવે તો શું થશે?? શું વૈશ્વિક અર્થતંત્રનો આધાર ગણાતો વૈશ્વિક વ્યાપાર નિયંત્રણમાં રહેશે?? WTO વિના વિશ્વના દેશો વચ્ચે વ્યાપાર શક્ય બનશે?? આ ઘણા મહત્વના પ્રશ્નોથી એમ તારણ નીકળે છે કે ભલે, હજારો ખામીઓ હોય પણ વિશ્વ વ્યાપાર ડબલ્યુટીઓ વગર શક્ય નથી.

ડબલ્યુટીઓ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી- વ્લાદિમીર પુતીન

01

તાજેતરમાં જી-20 દેશોની સમિટ મળી હતી. જેમાં ભારત સહિત તમામ સભ્યદેશો જોડાયા હતા જેમાં તાજેતરનો મુદ્દો કોવિડ-૧૯ ઉપરાંત વિશ્વ વ્યાપાર સંગઠન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ સ્વીકાર્યું હતું કે વિશ્વ વ્યાપાર સંગઠનનો બીજો કોઈ વિકલ્પ નથી. વિશ્વ વ્યાપાર સંગઠનની જગ્યા અન્ય કોઈ લઇ શકે નહીં. તેના દરવાજા સદાયને માટે બંધ કરી દેવાની જગ્યાએ તેના સુધારા પર ધ્યાન દેવું જોઈએ. વૈશ્વિક પડકારોને ધ્યાને લેતા આ ખૂબ જ જરૂરી છે. વ્લદિમીર પુતીને વધુમાં જણાવ્યું હતું કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં સુધારા વધારા માટે વિવિધ દ્રષ્ટિકોણની શોધની તાતી જરૂરિયાત છે. અને આ ઉપર બધા દેશોએ ધ્યાન આપવું જોઈએ. સુધારાનું લક્ષ્ય માપદંડો, સિદ્ધાંતોના આધાર પર સ્થિરતા, કુશળતા અને બહુપક્ષીય વ્યાપાર પ્રણાલી વિના હાંસલ કરવું શક્ય નથી॰

શા માટે વિશ્વ વેપાર સંગઠનની કામગીરી પર પ્રશ્નાર્થ ??

45622927 303

વિશ્વ વ્યાપાર સંગઠન કે જે એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંગઠન છે જે રાષ્ટ્રોની વચ્ચે થતાં વેપારનું નિયમન કરે છે અને તેના સંબંધિત નિયમો ઘડે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડબલ્યુટીઓની તેની કામગીરીમાં ઊણ ઉતરી રહ્યું હોય તેમ અનેકવિધ ખામીઓ સામે આવી રહી છે. કોરોના મહામારીના સમયમાં પણ સક્રિય કામગીરી ન કરી હોવાની ઘણા દેશોએ ટિપ્પણી કરી છે. એમાં પણ પાછલા 20 વર્ષ જૂના નીતિનિયમો પ્રમાણે અત્યારે પણ વેપારી નિયમન થતું હોવાથી ઘણા દેશો નારાજ છે. વિકાસ અને આર્થિક રીતે પછાત એવા દેશોએ તો આક્ષેપો પણ મૂક્યા છે કે વિશ્વ વ્યાપાર સંગઠનનું જુકાવ માત્ર વિકસિત અને મોટા દેશો તરફ જ હોય છે.

વિશ્વ વ્યાપાર સંગઠનની ભારત પર અસર

વિશ્વ વ્યાપાર સંગઠનમાં હાલ 16૪ સભ્ય દેશો છે. જેમાંનો એક ભારત પણ છે. આજના સમયે વ્યાપાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ વધતાં જતાં વ્યાપમાં ડબલ્યુટીઓની કામગીરીનો પણ વ્યાપ વધી જાય છે એમાં પણ વાત કરીએ ભારતના પ્રદર્શનની તો વર્ષ 1990ના આર્થિક સુધારણાના દાયકાથી ભારતમાં વેપાર પ્રણાલીમાં ધરખમ ફેરફારો નોંધાયા છે. અને છેલ્લા થોડા સમયમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતે નોંધનીય પ્રગતિ હાંસલ કરી છે અને વિશ્વના દેશો સાથે મજબૂતાઈથી જોડાયો છે અને આયાત નિકાસની તુલામાં વધારો કર્યો છે. ભારતના વધતા જતાં વ્યાપારી વ્યાપથી વિશ્વ વેપાર સંગઠનની ખાસી એવી જરૂર પડે છે ભારત જ કામ શુકામ તમામ દેશોને નિયંત્રક તરીકે ડબલ્યુટીઓની જરૂર રહેલી જ છે.

Screenshot 6 14
ડબલ્યુટીઓની ખામી તમામ સભ્ય દેશોની નિષ્ફળતાનું પરિણામ

વિશ્વ વ્યાપાર સંગઠન આખરે છે તો વિશ્વના દેશોનું બનેલું એક સંગઠન જ. તેમાં ભારત સહિત 164 સભ્યદેશો છે. અને આ સભ્ય દેશો દ્વારા તેની કામગીરી થાય છે. જોકે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના વખતેથી માંડીને અત્યાર સુધી અમેરિકાનું પલડું ભારે રહ્યું છે કારણ કે આ સંગઠનમાં સૌથી વધુ નાણાકીય ભંડોળ અમેરિકા જ પૂરૂ પાડે છે. સંચાલન સભ્યદેશો દ્વારા જ થતું હોવાથી અને સયુક્તરૂપથી સંગઠન હોવાથી ડબલ્યુટીઓની ખામી આખરે તમામ સભ્યદેશોની સામૂહિક નિષ્ફળતા જ ગણી શકાય.

શું છે wto ?? ક્યારે અને શા માટે તેની સ્થાપના કરવામાં આવેલી ??

વિશ્વ વેપાર સંગઠન (WTO) એ આંતરરાષ્ટ્રીય મૂડી વેપાર પર દેખરેખ રાખવા અને તેના ઉદારીકરણ માટે તેના સ્થાપકો દ્વારા રચવામાં આવેલું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આ સંગઠનની સત્તાવાર શરૂઆત 1 જાન્યુઆરી 1995ના રોજ મરાકેશ સમજૂતી હેઠળ, 1947માં શરૂ થયેલા જનરલ એગ્રિમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ (GATT)નું સ્થાન મેળવીને થઇ હતી. વિશ્વ વેપાર સંગઠન સભ્ય રાષ્ટ્રો વચ્ચે વેપારનું નિયમન કરે છે, તે વેપાર કરાર માટે મંત્રણા તેમજ મુસદ્દા માટે માળખું પુરું પાડે છે. વિશ્વ વેપાર સંગઠન સમજૂતીનું પાલન કરતા સભ્ય રાષ્ટ્રોને વિવાદની પતાવટ પ્રક્રિયા પુરી પાડે છે. વિશ્વ વેપાર સંગઠન સમજૂતી પર સભ્ય રાષ્ટ્રોની સરકારના પ્રિતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર થયેલા હોય છે અને જે તે સભ્ય રાષ્ટ્રની સંસદ દ્વારા તેમને મંજૂરી મળેલી હોય છે.

વિશ્વ વેપાર સંગઠનનની સ્થાપના જેને પગલે થઇ હતી તે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ (જીએટીટી)(GATT)ની સ્થાપના બીજા વિશ્વ યુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય આર્થિક સહકારના ઉદ્દેશ સાથે રચાયેલા અન્ય નવા બહુપક્ષીય સંગઠનોને પગલે થઇ હતી, તેમાં વિશ્વ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ તરીકે ઓળખાતા બ્રેટન વુડ્સ સંસ્થાઓનો સમાવેશ થાય છે. વેપાર માટે આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન નામની આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાની રચના માટે સફળતાપૂર્વક ચર્ચા થઇ હતી. આઇટીઓ (ITO) સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી બનવાની હતી અને તેણે વેપાર અડચણો દૂર કરવા ઉપરાંત વેપારને અસર કરતા હોય તેવા રોજગારી, રોકાણ, પ્રતિબંધિત વેપાર પ્રથા અને કોમોડિટી સમજૂતી સહિતના પરોક્ષ મુદ્દા પર કામ કરવાનું હતું. પરંતુ આઇટીઓ (ITO) સંધીને અમેરિકા અને અન્ય કેટલાક રાષ્ટ્રોએ મંજૂરી આપી ન હતી અને તે ક્યારેય અસ્તિત્વમાં આવી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.