Abtak Media Google News

આવતીકાલે એટલે કે મંગળવારે રાત્રે વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ થવાનું છે. ભારતના પણ કેટલાક ભાગોમાં આ ગ્રહણ દેખાવાનું છે, ત્યારે પૌરાણિક માન્યતાઓ અનેુસાર, ગ્રહણ પહેલા મંદિરોના કપાટ બંધ કરવાની પરંપરા છે. ત્યારે આવતીકાલે ગુજરાતના પ્રસિદ્ધ એવા દ્વારકાધીશ અને અંબાજીના મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.

જગતમંદિર દ્વારકાના સમયમાં ફેરફાર

આવતી કાલે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશ જગતમંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભગવાન દ્વારકાધીશના નિત્યક્રમના સમયમાં બદલાવ કરાયો છે. મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરાયા મુજબ, આવતીકાલે સવારે મંગળા આરતી સવારે ૬:૦૦ કલાકે થશે. બપોરે ૪:૦૦ વાગ્યા થી ૮:૦૦ વાગ્યા સુધી જ ભાવિકો દર્શનનો લાભ લઇ શકશે. આવતી કાલે ચંદ્ર ગ્રહણને કારણે ભગવાન દ્વારકાધીશને રાત્રે ૮ વાગ્યે જ શયન કરાવશે.

અંબાજી મંદિરના કાર્યક્રમમાં ફેરફાર

આવતીકાલે ગુરુપૂર્ણિમા અને ચંદ્રગ્રહણ હોઈ અંબાજી મંદિરમાં પણ આરતી અને દર્શનના કાર્યક્રમમા બદલાવ કરવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢ સુદ પૂનમનાં રોજ રાત્રિના 1.30 થી 3.30 સુધી ચંદ્ર ગ્રહણ રહેશે. તેથી પૂજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતું હોવાથી અંબાજી મંદિરનાં દર્શન-આરતીનો સમય આ મુજબ કરાયો છે. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે કેટલોક સમય બંધ પણ રહેનાર છે.

અંબાજી મંદિરમાં સવારે 07.30 કલાકે થતી મંગળા સવારે 06.00 કલાકે કરાશે. તો સાંજની 7 વાગ્યાની આરતી બપોરે 3.30 કરાશે. સાંજના 4.30 કલાક બાદ મંદિર બંધ રહેશે. બીજા દિવસે સવારની આરતી 9.00 કલાકે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે થનારું આંશિક ચંદ્રગ્રહણ રહેશે. જેને અરુણાચલ પ્રદેશના દુર્ગમ ઉત્તર પૂર્વીય ભાગોને છોડીને દેશભરમાં નિહાળી શકાશે. તે રાત્રે 1 વાગીને 31 મિનીટથી શરૂ થીને 4 વાગીને 30 મિનીટ સુધી રહેશે. 149 વર્ષ બાદ આ સંયોગ બની રહ્યો છે કે, ગુરુપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ આવી રહ્યું છે. આ ચંદ્રગ્રહણ રાત્રે 3 વાગીને 1 મિનીટ પર સ્પષ્ટ જોઈ શકાશે. આ સમયે પૃથ્વીની છાયા ચંદ્રના અડધાથી વધુ ભાગને ઢાંકી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.