Abtak Media Google News

આજે ‘બેટી ભણાઓ’નું સુત્ર જોરશોરથી ગૂંજે છે પરંતુ એ જમાનામાં ક્ધયા કેળવણી ફરજિયાત અને મફત અમલી કરનારા મહારાજા ભગવતસિંહજી હતા

કુશળ રાજવહિવટ,પ્રજા વાત્સલ્ય અને ઉતમ નગરરચના માટે ઇતિહાસનાં પૃષ્ઠ પર ચિરંજીવી બનેલાં સ્વપ્ન દ્રષ્ટા મહારાજા સર ભગવતસિંહજીની આજે ૧૫૫મી જન્મજયંતિ છે.સમય ની ગર્તામાં દુનિયા બદલાઇ ચુકી છે. પણ સર ભગવત્નું કુશળ વહીવટકર્તા તરીકેનું સુશાસન અને એ સમયમાં પ્રજા માટે સેવેલી ચિંતા અને સુખાકારી આજે પણ ગોંડલ ની ગલીએ ગલીમાં જીવંત બની ઉભા છે. મહારાજાનો પ્રભાવ અને તેજસ્વીતા આજે પણ નગરરચનામાં જાણે ધબકી રહીં છે.

આજે પાકીસ્તાન ભારતનું હાડોહાડ દુશ્મન છે. ત્રાસવાદથી લઇ સરહદોને સળગતી રાખવાનો પિચાશી આનંદ પાકીસ્તાન લઇ રહયું છે.લાખો સૈનિકોની શહાદત પછી પણ આપણે તેની શાન ઠેકાણે લાવી શકયાં નથી. પરંતું ગોંડલ નરેશ ભગવતસિંહજીએ પાકીસ્તાનનાં સર્જક મહમદઅલી ઝીણાને રાજયની હદ માં પ્રવેશવા ની પાબંદી કરી રીબડા થીજ પરત ધકેલી દિધાં હતાં. ઝીણા પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ હતો.હિન્દુસ્તાનનાં નાગરીક હોવાં નો ઝીણા એ ઇન્કાર કરેલો. મહારાજા ભગવતસિંહજી એ મહમદઅલી ઝીણાને તેનાં વતન પાનેલીને બદલે દિલ્હી રવાનાં કરેલાં,ભલે આઝાદી પહેલાંની ઘટનાં હતી પણ કાયદે આઝમ ગણાતાં ઝીણાનો દબદબો પણ કમ નાં હતો. આ હતું  મહારાજાની દેશદાઝ અને દેશ પરત્વેનું આત્મસમાંન, આજે ઝીણાનાં સર્જેલા પાકિસ્તાનનાં ખુની અટકચાળા લાચાર બની આપણે સહેવાં પડે છે.

દેશનાં શાસકોએ ધડો લેવો પડે તેવું ગૌરવવંતુ સાસન હતું ગોંડલ રાજ્યનું, રજવાડા તો દેશભરમાં હતાં.પણ ગોંડલ મહારાજા કંઇક અલગ પ્રકારનાં રાજવી હતાં. સાદગીનું એ પ્રતિક હતાં. બીજાં રાજ્યોનાં રાજવીઓ અંગત મોજશોખ માટે રાજયની તિજોરી લુંટાવતાં પણ મહારાજા ભગવતસિંહજી દરેક પૈસાનો હિસાબ રાખતાં, સાદગી તો એવી કે  ચાર જોડી અંગરખા, ચોરણી અને જાંબલી પાઘડીથી ચલાવતાં.મોટરકારો હોવાં છતાં બે ઘોડાની બગીનો ઉપયોગ કરતાં.

આજે બેટી ભણાઓનું સુત્ર સરકાર જોરશોર થી કરી રહીછે પરંતું એ જમાનામાં ક્ધયા કેળવણી ફરજીયાત અને મફત અમલી કરનારા મહારાજા ભગવતસિંહજી હતાં.

મહારાજાએ શહેરની સુઘડ બાંધણી,વિશાળ અને પહોળાં સિમેન્ટનાં રસ્તા, ફુટપાથો, અંડરગ્રાઉન્ડ વિજળી, ભુગર્ભ ગટર, ઇટન કોલેજની પ્રતિકૃતિ સમી સંગ્રામસીહજી હાઇસ્કુલ સહીત અનેક સુવિધાઓ સાથેની બેનમુન નગર રચનાંની ભેટ પ્રજાને આપી હતી.ગોંડલનાં વેરી તળાવનું તળીયું કોંક્રીટ સિમેન્ટનું બનેલું આજે પણ અડીખમ છે. એ જમાનામાં તળાવમાંથી ગ્રેવિટી દ્વારા કેનાલ મારફત શહેરને પાણી અપાતું હતું.

આજે પણ ગોંડલની આગવી ઓળખ શહેરનાં પહોળાં રસ્તા છે.પ્રાચીન સમયનાં રોમનોની માફક મહારાજા ભગવતસિંહજીને બહુમાન મળ્યું હતું.રસ્તાઓ ઉપરાંત ગોંડલનાં પુલ, નાળાંઓ અને બીજાં સાધનો માત્ર કાઠીયાવાડ નહીં બલ્કે હિન્દુસ્તાન માટે ગૌરવરૂપ હતાં.મહારાજા વૃક્ષ પ્રેમી હતાં. વૃક્ષ છેદનને તેઓ બાળહત્યા ગણાવતાં. પ્રજાનાં જાનમાલનાં રક્ષણની અનેકવિધ યોજના અમલી બનાવી હતી. રાજયમાં કાયદો વ્યવસ્થાને કારણે ખેતરે ખેતરે સીમ માં અંતરીયાળ પણ પાકાં મકાનો જોવાં મળતાં જ્યાં ખેડૂતો નિર્ભય બની પરીવાર સાથે રાત દિવસ રહીં શકતાં.કવિવર રવિન્દ્રનાથ ટાગોરની શાંતિ નિકેતનને મોટી રકમનો ફાળો આપનાર મહારાજા ભગવતસિંહજી હતાં.તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને મહાત્માની પદવી આપનાર પણ ગોંડલ હતું. દક્ષીણ આફ્રીકાની લડતમાં મહારાજાએ ગાંધીજીને આર્થીક સહાય મોકલી હતી.

સંસ્કૃતિ સર્જક મહારાજા ભગવતસિંહજી એ ગોંડલમાં એક નવો યુગ સર્જયો હતો. ગોંડલની પ્રજાનાં હદય ઉપર ભગવતસિંહજીએ સેવાવૃતિથી જણાવેલું સામ્રાજ્ય આજે પણ અડગ અને અટલ છે. સુખદ નોંધ એ લઇ શકાય કે છેલ્લા વરસોમાં નગરપાલિકાનાં શાસકોએ શહેરનાં રોડ રસ્તાઓ પરત્વે ધ્યાન કેન્દ્રીત કરી સમગ્ર શહેરમાં સિમેન્ટ રોડનાં  કરાયેલ નવીનીકરણ સંસ્કૃતિ સર્જક મહારાજા ભગવતસિંહજીને અપાયેલ સાચી શ્રધ્ધાંજલી ગણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.