Abtak Media Google News

ક્ષમાના મહાસાગર – પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બાળવયથી જ એમની શાંત-ગંભીર પ્રકૃતિ સાથે ક્ષમાશીલતા અવિચ્છિન્ન અંગ રૂપે જોડાયેલી હતી. કોઈ તેમને વઢે કે મારે, પરંતુ મૂંગે મોંએ સહન કરી લેવાનું એમની પ્રકૃતિમાં બાળવયથી સહજ હતું. ક્યારેક શાળામાં બીજા વિદ્યાર્થીઓએ ભૂલ કરી હોય, તેને સજા થાય અને તેની સાથે સાથે તેમનેય ભૂલમાં માર પડી જાય, તો મૂંગે મોંએ સહી લેવાનું તેમને માટે સાવ સહજ હતું.

519142 Swamiઆમ, પ્રમુખસ્વામી મહારાજ ક્ષમાના એ સર્વોચ્ચ શિખર પર બિરાજતા જ હતા. કોઈની નાની સરખી સેવાને જીવનભર ભૂલવાની નહી ! અને કોઈની ભૂલોને યાદ રાખવાની નહી ! એ યાદ જ નહી રાખવાનું કે કોને ક્યારે ક્ષમા આપી છે ! પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં આ સહજ હતું.

પરંતુ, તેમણે ક્ષમાશીલતાનો આ વૈભવ માત્ર એમના પોતાના પુરતો જ માર્યાદિત નથી રાખ્યો. એમના સત્સંગથી એ ક્ષમાનો સદગુણ અનેક લોકોના હૈયે ઊતાર્યો છે.

બોટાદ પાસે આવેલા રોહીશાળા ગામમાં એક નાની સરખી બાબતમાં આવેશમાં આવીને એક યુવાને ગામના સજ્જન અમરશીભાઈનું ખૂન કરી નાખ્યું. મામલો આખા ગામને લોહિયાળ આંતરયુદ્ધમાં ધકેલી દે તેવો બન્યો હતો. વેરની સામે વેરની વસૂલાતની વૃત્તિથી ગામ ધગધગી રહ્યું હતું. ત્યારે અમરશીભાઈના યુવાન પુત્ર જસમતને પ્રમુખસ્વામી મહારાજએ કહ્યું હતું : ‘તું શાંતિ રાખજે. આપણે વેર નથી રાખવું. તારા બાપુજી તો ધામમાં જ ગયા છે, અને હું તારા માટે બેઠો છું. ચિંતા કરીશ નહીં. કોર્ટમાંથી કેસ કાઢી નાખજો. પેલાને ક્ષમા આપી દેજો. તારી માતાને પણ કહેજે કે માફ કરી દે.’ સ્વામીશ્રીના આ વચને, ભાવનગરની કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ એ ગ્રામીણ ખેડૂત મહિલાએ, પોતાની નજર સામે પતિનું ખૂન કરનારને ક્ષમા આપી દીધી સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાર બાદ સ્વામીશ્રીએ જાતે ગામમાં આવીને ગામના બે પક્ષોને સતત બે દિવસ સુધી સમજાવીને શાંત કર્યા, પરસ્પર ક્ષમાની ભાવના સિંચીને વેરના ભડભડતા હુતાશનમાં સળગતા ગામને ઉગારી લીધું. એ ઘટનાના સાક્ષીઓ આજેય કહે છે : ‘જો પ્રમુખસ્વામી મહારાજ ન હોત તો કોણ જાણે ગામમાં કેટલીયે લાશો ઢળી ગઈ હોત !’

પ્રમુખસ્વામી મહારાજે આ પરસ્પર વેરની આગમાં સળગતા કેટલાય લોકોને શાંત કરીને આવા કંઈક ચમત્કારો કર્યા હતા.

020

સૌરાષ્ટ્રમાં કુકડ અને ઓદરકા વગેરે ૪૫ ગામોના ક્ષત્રિયોમાં, દોઢસો વર્ષો પહેલાં ચરિયાણ જમીનના વિવાદમાંથી વેરની જ્વાળા ભડકી હતી. તેમાંથી સતત દોઢસો વર્ષ સુધી હિંસા અને વસૂલાતની આગ પેઢી દર પેઢી વધુ ને વધુ વેગ પકડતી રહી હતી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીથી લઈને બ્રિટિશ અમલદારો અને સ્વતંત્ર ભારતના અધિકારીઓએ પણ આ વેરઝેરને શમાવવા અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ નિષ્ફળતા પીછો છોડતી નહોતી.

૧૯૮૦ના દાયકામાં પ્રમુખસ્વામી મહારાજે આ ક્ષત્રીયોના માથાભારે સૂત્રધાર રામસંગ બાપુનું જીવનપરિવર્તન કર્યું ત્યારે દોઢસો વર્ષ પુરાણી વેરની વસૂલાતને ઠારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. સ્વામીશ્રીએ સતત પ્રયત્નો કરીને સૌને ક્ષમાભાવનાનું અમૃત પાયું. તા. ૧૨-૪ ૧૯૯૦ના રોજ ઇતિહાસમાં એક સીમાચિહ્ન રચાઈ ગયું. દોઢસો વર્ષ પછી પહેલી વખત બંને પક્ષના ક્ષત્રિયો પ્રમુખસ્વામી મહારાજની છત્રછાયા તળે એકત્રિત થયા, પરસ્પરના વેરને છોડ્યું, સ્વામીશ્રીના હસ્તે એકબીજાનાં ગામોનાં પાણી દોઢસો વર્ષે પીધાં અને દોઢ દોઢ સદીના અપૈયા છોડ્યા. ત્યારે એ ક્ષત્રિયોના મુખિયાઓ બોલી ઊઠ્યા હતા : ‘દોઢસો વર્ષમાં અંગ્રેજોની સરકાર કે ભારતની સરકાર જે નથી કરી શકી તે આ ઓલિયા મહાપુરુષે કરી બતાવ્યું છે. આ કામ તો પ્રમુખસ્વામી જ કરી શકે.’4911277283 04593Fcbcc B

જેમણે જીવનભર ક્ષમા આપી છે, તેમનાં વચનોની આ તાકાત છે. સમર્થ હોવા છતાં સહન કરવું, ક્ષમા આપવી, એ ભગવાનને હૈયામાં અખંડ ધારનાર સંતનું લક્ષણ છે – એમ કહીને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે : ‘સમર્થ થકા જરણાં કરવી એ બીજા કોઈથી થાય નહીં.’ પરંતુ પ્રમુખસ્વામી મહારાજે એ કર્યું છે, કર્યાના જાણપણા સિવાય !

એક લેખકે જાહેર વર્તમાનપત્રોમાં સ્વામીશ્રી માટે સતત લાંબા સમય સુધી મિથ્યા અપપ્રચાર ચલાવ્યો ત્યારે વ્યથિત થઈને કેટલાકે તેમની સામે કલમ ઉપાડવાનું નક્કી કર્યું. સ્વામીશ્રીને આ વાતની જાણ થઈ એટલે તરત કડકાઈથી તેમને વાર્યા : “એવું કરવાની કોઈ જરૂર નથી! શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજે કોઈ દિવસ જવાબ આપ્યો છે ? માટે આજ પછી આવું વિચારવું જ નહીં, હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા લો.

સ્વામીશ્રીએ આગ્રહ કરીને એ સૌને ઠારી જ દીધા એટલું જ નહીં, સ્વામીશ્રી અને એ જ લેખક એક જાહેર સમારોહમાં મંચ પર એકત્રિત થયા ત્યારે જાણે કંઈ બન્યું જ નથી તેટલા પ્રેમથી સ્વામીશ્રી તેમને પગે લાગ્યા અને પોતાની સાથે પોતાના આસન પર બેસવાનો ભાવસભર આગ્રહ કર્યો. સ્વામીશ્રીની આ સહજ ક્ષમાશીલતાનાં દર્શન કરનાર અનેકની આંખોમાં અહોભાવની ભીનાશ પથરાઈ ગઈ !

આવા મહાપુરુષ આ ધરતી પર ન હોત તો, શાસ્ત્રકારોએ પ્રયોજેલો ‘અજાતશત્રુ’ શબ્દ સાર્થક કેવી રીતે થાત ?! આવા ક્ષમામૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવે કરીએ કરોડ વંદન.

12 Baps Wallpaper Dec 2015 002 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.