Abtak Media Google News

ચાતુર્માસની યુવાનો માટેની અંત્તિમપંચ દિવસીય યુવા શિબિર: નૂતનવર્ષના દિવસે ડુંગર દરબારમાં ભાવિકોને કરાશે નવકાર મંત્રની ફ્રેમ અર્પણ

ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે ૭૫ સંત-સતીજીઓના ઐતિહાસિક સમૂહ ચાતુર્માસમાં આગામી દિવસોમાં આવી રહેલાં દીપાવલી પર્વ નિમિત્તે વિશેષ આધ્યાત્મિક આરાધનાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

દીપાવલી પર્વના આ દિવસો દરમ્યાન રાષ્ટ્રસંત પૂ.ના મુખેથી ભગવાન મહાવીર સ્વામીએ નિર્વાણ પહેલાનાં અંતિમ સમયે ફરમાવેલ અમૃતવાણી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઆધારિત પ્રવચનમાળામાં અનેક ભાવિકો ખૂબ ભક્તિભાવી લાભ લઈ રહ્યા છે ત્યારેપર્વના દરેક દિવસોની વિશેષ સમજ અને મહત્વ દર્શાવતાં દિપાવલીના દિવસે ૦૭.૧૧ને બુધવારે સવારે ૦૭.૧૫ થી ૦૮.૧૫ કલાક દરમ્યાન રોયલપાર્ક ઉપાશ્રયના આંગણે તપસમ્રાટ પૂ. ગુરૂદેવ રતિલાલજી મ.સા.નો ૧૦૬મો જન્મોત્સવ એવમ પ્રભુ મહાવીર નિર્વાણ દિનઉજવવામાં આવશે.

૦૮.૧૧ને ગુરૂવારે  નૂતનવર્ષના દિવસે સવારના ૦૭.૦૦ કલાકે ડુંગર દરબાર પટાંગણમાં રાષ્ટ્રસંત પૂ.ના મુખેથી મહા મંગલકારી માંગલિક ફરમાવવામાં આવશે. આ સાથે નૂતનવર્ષના આ અવસરે ભાવિકોને રાષ્ટ્રસંત  હસ્તે નવકાર મંત્રની રત્નજડિત ફ્રેમ અર્પણ કરવામાં આવશે.

વિશેષમાં તા. ૧૦.૧૧ થી ૧૪.૧૧ સુધી આ પાંચ દિવસ માટે ૧૫ થી ૩૫ વર્ષના યંગસ્ટર્સ માટેની જીવન પરિવર્તનકારી એવી યુવા શિબિર નું વિશેષ  આયોજન કરવામાં આવ્યું છે. એ દરમ્યાન તા.૧૨.૧૧ના રોજ જ્ઞાન પંચમીના પાવન અવસરે અબાલ-વૃધ્ધ સહુને માટે પૂ. ગુરૂદેવના નાભિના નાદે મંત્રોચ્ચાર દ્વારા જ્ઞાનવૃધ્ધિ કરાવનારું વિશિષ્ટ જ્ઞાન પૂ. ડુંગર દરબાર પટાંગણમાં કરાવવામાં આવશે.

રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવના સાંનિધ્યે કરાવવામાં આવતાં દર વર્ષના આ જ્ઞાનપૂજનમાં આજ સુધી વિવિધ ક્ષેત્રના હજારો બાળકોએ લાભ લઇને પોતાની જ્ઞાનવૃધ્ધિની અનુભૂતિ કરી છે. દરેક ધર્મપ્રેમી ભાઈ-બહેનોને પધારવા સંઘ તરફથી અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.