Abtak Media Google News

દેશની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે સુશાસનની વિચારધારાનાં પ્રણેતા તેમજ ભાજપ જનસંઘનાં આરાધ્ય પુરૂષ પંડિત દીનદયાલ ઉપાધ્યાયનાં નિર્વાણ દિને રાજુભાઈ ધ્રુવે શબ્દાંજલિ અર્પી.

મહાન રાષ્ટ્રવાદી ચિંતક, વિચારક, સંગઠક, શિક્ષણશાસ્ત્રી, રાજનીતિજ્ઞ વકતા, લેખક, પત્રકાર, સાહિત્યકાર અને ભારતીય સંસ્કૃતિના પ્રખર પુરસ્કર્તા એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં નિર્વાણ દિન નિમિત્તે રાજુભાઈ ધ્રુવે તેમને શબ્દાંજલિ પાઠવતા જણાવ્યું છે કે, ઈ.સ. ૧૯૧૬માં ઉત્તરપ્રદેશના એક નાનકડા ગામમાં જન્મેલાં ભારતીય જનસંઘની બૌધિક મૂડી સમાન નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આજીવન ભારત માતા અને સરસ્વતી માતાને ખોળે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮નાં રોજ રેલ્વે પ્રવાસ દરમિયાન મુગલયરાય પાસે શંકાસ્પદ રીતે મૃત્યુ પામ્યાં હતાં. ગુરુજીનાં આશીર્વાદ અને શ્યામાપ્રસાદ મુખર્જીનાં આચરણને અનુસરી પંડિત દીનદયાળે જનસંઘનાં મંત્રીપદેથી જનસંઘને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવવામાં નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. રાજકારણ અને પત્રકારત્વ સાથે સંકળાયેલા પંડિત દીનદયાળજીનું દેશ સમર્પિત પારદર્શક, ઈમાનદાર વ્યક્તિત્વ અને દીવાદાંડી સમાન પથદર્શક વિચારધારા આજનની યુવા પેઢીએ અનુસરવા જેવી છે.

રાષ્ટ્ર માટે સતત સેવારત રહેતા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્ય ના વિકાસ અને સેવા  માટે કાયમ કટિબદ્ધ રહેતા મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારોએ ઊંડી અસર રહેલી છે. પંડિત દીનદયાળ ઉપધ્યાયજીએ સેવેલાં ભેદભાવ, શોષણ અને ભ્રષ્ટાચાર રહિત ભારતનાં સ્વપ્નને સાકાર કરવામાં કેન્દ્રમાં   અને રાજ્યમાં ભાજપ સરકાર સફળતાનાં પથ પર અગ્રેસર છે. ભાજપ શાસિત રાજ્યોમાં દીનદયાળજીનાં સિદ્ધાંત અને કાર્યોને અમલમાં મૂકી સામાજિક વિષમતા, અસમાનતા અને જાતિગત દૂષણો દૂરકરવામાં ભાજપ સરકાર સદાય અગ્રેસર રહી છે.

દેશમાં એક સમય હતો જ્યારે કોંગ્રેસ સિવાય દેશની જનતા પાસે રાજકીય પાર્ટીનો કોઈ બીજો વિકલ્પ ન હતો. દેશની જનતા કોંગ્રેસનાં કુકર્મોથી ત્રાસી ગઈ હતી તેવા સમયે દીનદયાળજીએ સંગઠન આધારિત રાજનીતિક વિચારધારા પ્રસ્તુત કરી ભારત દેશને મહામૂલી ભેટ આપી હતી. તેમની સુરાજ્ય અને સુશાસનયુક્ત વિચારધારાનાં પરિણામ સ્વરૂપ દેશને કોંગ્રેસનાં એકહથ્થુ જડતાવાદી ભ્રષ્ટ શાસનમાંથી મુક્તિ મળી ખરા અર્થમાં પ્રજાને સુશાન અને સુરાજ્યયુક્ત સ્વતંત્રતા મળી હતી. પંડિત દીનદયાળજી લોકાભિમુખ અને માનવતાવાદી લોકનાયક હતાં. ભારત દેશ તેમનો સદાય ઋણી રહેશે.

વર્તમાન સમયમાં ભાજપ શાસિત રાજ્યોનાં સબળ નેતૃત્વ અને સફળ સરકારની શ્રેષ્ઠ લોક કલ્યાણ ની  કામગીરી પાછળ પંડિતજીની વિચારધારા કામે લાગી છે. આજીવન સાદગીપૂર્ણ સિદ્ધાંતો સાથે સાર્વજનિક જીવન જીવ્યા છતાં દીનદયાળજીનું વ્યક્તિત્વ પારદર્શક અને બીજાઓ માટે પ્રેરણાદાયી ને પથદર્શક બની રહ્યું છે. ગરીબ અને મધ્યમવર્ગને ધ્યાને લઈ દેશની અર્થવ્યવસ્થાનું નિર્માણ આજે પંડિત દીનદયાળજીની સંપૂર્ણ વિચારધારાને કેન્દ્રસ્થાને લઈ કરવામાં આવ્યું છે. જેથી સૌનો સાથ સૌનો વિકાસ શક્ય બન્યો છે. તેઓની વિચારધારાને જ અનુલક્ષીને સૌ પ્રથમ ગુજરાત અને હવે તો દેશનાં ઘણા રાજ્યોમાં ગરીબકલ્યાણ મેળાઓ થઈ રહ્યાં છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં વિચારો અને આદર્શો પર ચાલી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ દેશ અને  વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વ હેઠળ રાજ્ય પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યાં છે.

રાજુભાઈ ધ્રુવે ભાજપના તમામ કાર્યકર્તાઓને પંડિતજીના જીવનકવન વિષે વધુને વધુ જાણવા સમજવા અને તેમણે ચિંધેલા રાહે રાષ્ટ્રસેવામાં સમર્પિત થવાનો અનુરોધ કર્યો છે. સ્વદેશી અપનાવો, ગરીબી હટાવોની ક્રાંતિકારી વિચારધારાનાં જનક અને દેશ માટે આજીવન જાત ઘસી જાન આપનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં જીવન સંદેશ, દેશહિત વિચારધારા તથા તેમની સાદગી અને સમર્પણભાવને જીવનમાં ઉતારવા એ જ તેઓને સાચી શ્રદ્ધાંજલિ આપવા બરાબર છે એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.