Abtak Media Google News

Aadhar Card મોબાઇલ નંબર અને બેંક ખાતાં સાથે લિંક કરવાના સરકારના આદેશને પડકારતી ઢગલાબંધ અરજીઓ પર સુનાવણી સુપ્રિમ કોર્ટમાં ચાલી રહી છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ સરકારની તરફેણમાં ચુકાદો આપશે તો આધારકાર્ડ લિંક કરવા માટે સરકાર ૩થી ૬ મહિનાનો સમય આપશે. સમયમર્યાદા પૂરી થયા બાદ સરકાર લિંક નહીં થયેલાં તમામ પાનકાર્ડને રદ કરી શકે છે. અધિકારીએ જણાવ્યું હતું કે, લિંક નહીં થયેલાં પાનકાર્ડ રદ કરી નાખવાથી તમામ બનાવટી પાનકાર્ડ સિસ્ટમમાંથી દૂર થશે અને બેનામી વ્યવહારો અટકી જશે.
અત્યારે આવકવેરા વિભાગે પાનકાર્ડ સાથે આધારકાર્ડ જોડવાની મુદત ૩૧ ડિસેમ્બર સુધી આપી રાખી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં સંકેત આપ્યો છે કે તે આ સમયમર્યાદા લંબાવીને ૩૧ માર્ચ ૨૦૧૮ કરવા માગે છે.અધિકારીએ જણાવ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ પાનકાર્ડ સાથે આધારકાર્ડ ફરજિયાત જોડવાનાં સરકારનાં વલણને માન્યતા આપી તરફેણમાં ચુકાદો આપે અને પ્રસ્તાવિત સમયમર્યાદા સાથે સંમત થાય તો સરકાર કરદાતાઓને આધારકાર્ડ લિંક કરવા માટે ૩થી ૬ મહિનાનો વધારાનો સમય આપી શકે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ૩૧મી ડિસેમ્બર પછી પાન સાથે આધાર લિંક કરવા માટે ૩થી ૬ મહિનાનો સમય આપી શકીએ છીએ. આ સમયમર્યાદા બાદ પણ પાનને આધાર સાથે લિંક નહીં કરાય તો તે પાનકાર્ડ અમાન્ય બની જશે. ગયા મહિને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તે આધાર લિંક કરવાની સમયમર્યાદા ૩૧ માર્ચ સુધી લંબાવવા ઇચ્છે છે. સરકારે આ વર્ષથી આઈટી રિટર્ન અને નવું પાનકાર્ડ મેળવવા માટે આધાર નંબર ફરજિયાત બનાવી દીધો છે.આવકવેરા કાયદો કહે છે કે, ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ પાનકાર્ડ ધરાવતી દરેક વ્યક્તિએ આવકવેરા વિભાગમાં આધારનંબર લિંક કરવો ફરજિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.