Abtak Media Google News

રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ

રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ

વોર્ડ નં. ૧ થી ૯માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

વિસ્તારમાં વિકાસ ફક્ત કાગળ પર જ થયો છે: વિજયભાઇ કુંભારવાડીયા (લોકજાગૃતિ મંચ સ્થાપક)

Vlcsnap 2021 01 27 08H55M39S502
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે રાજકીય પક્ષો મેદાન મારવા માટે યુદ્ધના ધોરણે કામે લાગી ચુક્યા છે. ત્યારે અબતક દ્વારા રાજકોટના વોર્ડમાં જઈ પ્રબુદ્ધ નાગરિકોને પોતાના વોર્ડના વિકાસને લઇ ચર્ચા કરવામા આવી હતી. ત્યારે વોર્ડ નંબર ૪ના રહેવાસી વિજયભાઈ કુંભરવાડિયા કે જેઓ લોકોને ગ્રાહકના અધિકારો વિષે માહિતી મળે તે માટે લોક જાગૃતિ મંચ ચલાવે છે. ત્યારે અબતક દ્વારા વિજયભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર ૪માં વિકાસની વાતો ફક્ત પેપર પરજ થઈ છે. જે જૂનો મોરબી રોડ વિસ્તાર આવેલો છે ત્યાં વિકાસ થયો નથી. વર્ષ ૨૦૦૫થી આ વિસ્તારમાં વરસાદનું પાણી ભરાય છે. જેની અનેક વખત રજુઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ હલ આવ્યો નથી. એસટી બસ , સિટી બસની પણ આ વિસ્તારમાં વ્યવસ્થા નથી. કોર્પોરેશન સંચાલિત જે શાળા હોય છે. જો એની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર ૪માં આ શાળા ખંઢેર હાલતમાં થઈ ચૂકી છે. ફક્ત વિકાસ થયો હોવાની વાતો જ કરવામાં આવે છે. કોર્પોરેટરો એ જનતા વચ્ચે જવું જોઈએ તે વસ્તુ આ વિસ્તારમાં થયું જ નથી. ફક્ત ચૂંટણી સમયે મત મેળવવા, પેજ પ્રમુખ બનાવવાં વિસ્તારમાં આવે છે. જનતાના પ્રશ્નો દુર કરવાનુંતો ઠીક છે. જનતાના પ્રશ્નો સાંભળવા પણ આવતા નથી. સામાજિક અગ્રણી તરીકે મારુ માનવું છેકે આ વિસ્તારમાં શિક્ષિત અને યુવા કોર્પોરેટર હોવા જોઈએ. લોકોના સતત સંપર્કમાં રહી કોર્પોરેટરની જે જવાબદારી હોય છે. તે પુરી કરે તેવું કોર્પોરેટર હોવા જોઈએ.

કોર્પોરેટરે કરેલા વાયદા આજદીન સુધી પુરા નથી થયા: રામભાઇ આહીર (આહિર જ્ઞાતિ અગ્રણી)

Vlcsnap 2021 01 27 08H55M47S089

વોર્ડ. નંબર ૪ના સામાજિક અગ્રણી રામભાઈ આહીરએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર ૪માં ક્યાંકને ક્યાંક વિકાસ રૂંધાયો હોય તેમ લાગી રહ્યું છે. આજી રિવરફ્રન્ટ કેટલા વર્ષો પહેલા મંજુર થયો છે. પરંતુ હજુ સુધી તેમાં કોઈ પ્રકારે કામ થયું નથી. કોર્પોરેટરે વર્ષ ૨૦૧૫ની ચૂંટણી સમયે જે વાયદા કર્યા હતા તે હજુ સુધી પુરા થયા નથી. લોકોને તેમના કોર્પોરેટર કોણ છે તે પણ ખબર નથી. રાજકોટના ડેપ્યુટી મેયર આ વિસ્તારના છે તો તેમને પણ ઘણા લોકો ઓળખતા નથી. રાજકોટ સ્માર્ટ સિટી બની રહ્યું છે. પરંતુ આ વોર્ડમાં વિકાસ હજુ ઘણો બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.