Abtak Media Google News

મોરબી – માળીયામાં અપૂરતો વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા હળવી કરવા માંગણી

ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદ વરસી રહ્યો છે પરંતુ મોરબી જિલ્લાના મોરબી અને માળીયા તાલુકાના અનેક ગામોમાં હજુ પણ સિઝનનો દોઢ ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો હોય વાદળછાયા વાતાવરણનો લાભ લઇ આ વિસ્તારમાં ખેડૂતોના હિતમાં તાકીદે કૃત્રિમ વરસાદ વરસાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માંગણી ઉઠાવી છે.

ગત વર્ષે મોરબી જિલ્લાના મોરબી અને માળીયા તાલુકામાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે મોસમનો બેસુમાર વરસાદ વરસ્યો હતો પરંતું ચાલુ વર્ષે મોરબી તાલુકાના ઝીકિયારી, જીવાપર, કેશવનગર માળિયાના વર્ષામેડી, બગસરા, ન્યુ નવલખી જેવા ગામોમાં તો ફક્ત દોઢ ઈચ જેટલો જ વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બની નિરાશ બન્યા છે ત્યારે આ ગામડાઓમાં કૃત્રિમ વરસાદ વરસાવવાની સાથે સાથે નર્મદા યોજનની કેનાલ થકી પાણી આપવા ધારાસભ્ય મેરજાએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

વધુમાં ધારાસભ્ય દ્વારા નર્મદા યોજનમાંથી પાણી આપવા રજુઆત કરાતા હકારાત્મક અભિગમ સરકારે અપનાવ્યો છે પરંતુ બધા ગામો સુધી પાણી પહોંચે તેમ ન હોય ખાસ કરીને ઝીકિયારી વિસ્તાર માટે ઘોડધ્રોઈ ડેમમાં પાણી ઠાલવવા નિર્ણય કરવા જણાવ્યું છે, આ ઉપરાંત હાલના સંજોગોમાં કેનાલમાં પડેલા ગાબડાંને કારણે પાણી બંધ કરવાના નિર્ણયને કમનસીબ ગણાવી ઉનાળામાં કેનાલ બંધ હતી ત્યારે કેનાલની મરામત કરી લેવી જરૂરી હોવા છતાં સરકારે તે દિશામાં શયન ન આપ્યું હોવાનું પણ જણાવ્યું હતું.

આ ઉપરાંત ધારાસભ્ય મેરજાએ ઉનાળામાં ખેડૂતોને થયેલા અન્યાય અંગે પણ અવાજ ઉઠાવી સમગ્ર માળીયા તાલુકાના બાકી રહેતા ગામો માટે પણ નર્મદા યોજનામાં સમાવેશ કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.

દરમિયાન હાલમાં દરરોજ વાદળ છાયું વાતાવરણ રહેતું હોય મોરબી અને માળીયા પંથકના ઓછા વરસાદ વાળા ગામો માટે સરકાર દ્વારા તાકીદે કૃત્રિમ વરસાદ વરસાવવા નિર્ણય કરવા અંતમાં માંગણી દોહરાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.