Abtak Media Google News

કરોડો શિવભક્તોના આસ્થાના પ્રતિક એવા ૧૨ જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવનો મહાપ્રસાદ હવે ભાવિકો પોસ્ટ ઓફિસ મારફત ઘરબેઠા મંગાવી શકશે. આજે સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગ દ્વારા આ નવીનતમ કાર્યનું ઈ-શુભારંભ કરવામાં આવ્યું હતું. હજ્જારો કિલોમીટર દૂર બેઠેલા ભાવિકો હવે ઘર બેઠા સોમનાથ દાદાનો મહાપ્રસાદ મેળવી શકશે.

કરોડો શિવભક્તોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા અવાર-નવાર નવીનતમ ભેટ આપવામાં આવે છે. આજે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક શુભ કાર્યનો ઈ-શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં શિવભક્તો માત્ર ૨૫૧ના રૂપિયાના મની ઓર્ડર પોસ્ટ દ્વારા કરશે તો તેમને ઘરબેઠા સોમનાથ દાદાનો પ્રસાદ મળશે. આજે સવારે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવિણકુમાર લેહરીના વરદ હસ્તે આ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ તકે સૌરાષ્ટ્ર કચ્છના પોસ્ટ માસ્ટર જનરલ રાકેશકુમાર અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા. ભગવાન સોમનાથનો પ્રસાદ ઘેરબેઠા મંગાવવા માટે ભાવિકોએ હવે નજીકની પોસ્ટ ઓફિસમાં રૂા.૨૫૧ના મની ઓર્ડર સોમનાથ ટ્રસ્ટના નામનું કરવાનું રહેશે. મની ઓર્ડર પ્રાપ્ત થતાની સાથે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને ૨૦૦ ગ્રામ ગજના લાડુ, ૨૦૦ ગ્રામ તલસિંગ અને મગફળીની ચીકી પ્રસાદ રૂપે મોકલવામાં આવશે. અગાઉ પણ મંદિર દ્વારા ભાવિકો માટે ઓનલાઈન આરતી દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે જેનો કરોડો શિવભક્તો લાભ લઈ રહ્યાં છે.

સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોર્તિલિંગ હોવાના કારણે દેશ વિદેશમાંથી વર્ષે કરોડો લોકો અહીં દર્શનાર્થે આવે છે. હવે પોસ્ટ ઓફિસ મારફત સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને મહાદેવનો પ્રસાદ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી શિવભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.