Abtak Media Google News

અમદાવાદની દુર્ઘટના બાદ રાજકોટ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું: હોસ્પિટલો પાસે એનઓસી તેમજ અગ્નિશામક સાધનો છે કે નહીં તેની તપાસ હાથ ધરાશે

અમદાવાદની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ જિલ્લા કલેકટર રેમ્યા મોહને તાત્કાલીક અસરથી જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલમાં ચેકિંગનો આદેશ આપ્યો છે. જેના પગલે તંત્ર દોડતું થયું છે. હવે તંત્ર દ્વારા હોસ્પિટલો પાસે એનઓસી તેમજ અગ્નિશામક સાધનો છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદની કોવિડ-૧૯ ડેજિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી ૮ દર્દીના મોત નિપજયા હોવાનું બનાવ સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવને લઈને તમામ જિલ્લાઓમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. જે સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને મામલતદાર અને પ્રાંતોને તમામ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ચેકિંગ કરવાનો કડક આદેશ આપ્યો છે. જેથી હવે પ્રાંત અને મામલતદારોની ટીમો દ્વારા હોસ્પિટલ પાસે એનઓસી છે કે નહીં તેમજ અગ્નિશામક સાધનની વ્યવસ્થા છે કે નહીં તે મામલે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવશે અને જો વ્યવસ્થાની ખામી હશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરતની આગની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા-મથકો ઉપર તંત્ર સફાળુ જાગ્યું હતું. ત્યારબાદ હવે આ અમદાવાદની ઘટનાને પગલે પણ તંત્ર જાગીને એકશન મોડમાં આવ્યું છે.

૯ હોસ્પિટલોમાં એક અઠવાડિયાની અંદર પ્લાઝમાં કલેકશન સેન્ટર ઉભા કરાશે

જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સુચનાને પગલે શહેરની ૯ કોવિડ-૧૯ હોસ્પિટલોમાં પ્લાઝમાં કલેકશન સેન્ટરો ઉભા કરવામાં આવનાર છે. આ સેન્ટરો ૮ દિવસની અંદર ઉભા કરી દેવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. વધુમાં આ સેન્ટરો સાથે લાઈફ બ્લડ બેંક, સૌરાષ્ટ્ર બ્લડ બેંક અને રેડક્રોસ બ્લડ બેંક જોડાયેલી રહેશે. આ અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહને તમામ કોરોનાના દદીઓને રિપોર્ટ પોઝિટિવ આવ્યાના ૨૮ દિવસ બાદ બ્લડ ડોનેટ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.