Abtak Media Google News

મુખ્યમંત્રીનાં નેતૃત્વમાં જળસંગ્રહના સ્ત્રોત વધારવા માટે તેમજ પાણીનાં સ્તર ઉંચા લાવવા યોજાયેલા રાજ્યવ્યાપી જળ અભિયાનની અપ્રતિમ સફળતા વર્ણવતા રાજુભાઈ ધ્રુવ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આરંભ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાનનાં બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપતા ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, પ્રજાવત્સલ પાણીદાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના અને સુજલામ સુફલામ જળ અભિયાન વડે પ્રજા-પશુપ્રાણીની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યો છે. વરસાદી પાણીનાં જળ સંગ્રહ અને જળ સંચય માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત બે વર્ષમાં ૩૦૦૦૦ જેટલા જળસંચયના કામો પૂર્ણ થયેલ છે. તેમજ લુપ્ત થયેલ નદીઓ પુન:જીવિત કરવાનું કામ કરવામાં આવેલ છે. આ વર્ષે પરમ કૃપાળુ ઈશ્વરની કૃપાથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ખૂબ સારો વરસાદ પડેલ છે. રાજ્યનાં અંદાજીત ૧૦૦૦૦ જેટલા નાના-મોટા તળાવો વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયેલ છે. જ્યારે નર્મદા ડેમ સહિત રાજ્યના ૯૦ ટકા જેટલા જળાશયો ઓવરફ્લો થયા છે. સુજલામ સુફલામ જળ અભિયાન જળક્રાંતિના બે વર્ષ – ગુજરાતનાં ઈતિહાસમાં જળ અભિયાન તથા જનઆંદોલનનું સફળ પ્રકરણ છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો હતો એમાં સૌ લોકોએ સક્રિયતાથી સહયોગ આપ્યો છે અને પરિણામે આ અભિયાનને અપ્રતિમ સફળતા મળી છે. આજથી બે વર્ષ અગાઉ કોઈએ વિચાર્યુ પણ ન હતું કે, સુજલામ સુફલામ જળ અભિયાન ખૂબ જ સફળ થશે અને તે ભવિષ્યમાં પાણીની સમસ્યાનો છુટકારો લાવશે. આ બદલ વિજયભાઈની દીર્ઘદૃષ્ટિને જેટલી પણ બિરદાવીએ એટલું ઓછું છે. તેમની ખેેેડૂતો અને ખેતી અને ગ્રામ્ય વિસ્તાર ના વિકાસ માંટે ના આયોજન ના ફળ વર્ષો સુધી ગુજરાતની પ્રજાને ચાખવા મળશે.

ગુજરાતમાં કુદરતી પાણીના સ્ત્રોત ઉંચા આવે તેમજ વરસાદી પાણીના જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે. જનભાગીદારી પ્રેરિત આ સુજલામ સુફલામ જળ અભિયાન પરિણામે છેલ્લા બે વર્ષમાં ૨૩૫૫૩ લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. ચાલુ વર્ષે પણ મેઘરાજાની મહેર થતાં ૧૦૦ ટકા જેટલો વરસાદ રાજ્યમાં થઈ ગયો છે ત્યારે રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ અને આયોજનના પરિણામે આ અભિયાન હેઠળ જે તળાવો ઊંડા કરાયા હતા અને ચેકડેમનું ડિસીલ્ટીંગ કર્યુ હતું એ પૈકી મોટાભાગના તળાવો-ચેકડેમમાં નવો જળસંગ્રહ થયો છે. તેના લીધે ૫થી ૭ ફૂટ જેટલા ભુગર્ભ જળ સ્તર ઉંચા આવ્યા છે. આ જળસંગ્રહે ખેડૂતોને સિંચાઇ માટે તથા નાગરિકોને પીવાના પાણી, ઘરવપરાશ પાણી તથા પશુઓ માટે પાણીની સમસ્યાઓ દૂર કરી દીધી છે. સૌની યોજના થકી પણ સૌરાષ્ટ્રના લગભગ ૧૧૫ જેટલા ડેમને કનેક્ટ કરવામાં આવશે અને આપણું સૌરાષ્ટ્રમાં ફરીથી લીલીછમ ચાદર પથરાશે. રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. વિકાસનો મૂળભૂત આધાર પાણી છે ત્યારે સર્વાંગી વિકાસ માટે એ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને જળસંચય ક્ષમતામાં વધારો કરી રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાનું ઐતિહાસિક જનઆંદોલન સુજલામ સુફલામ યોજના સફળ અને પ્રસંશનીય બન્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શમાં જનભાગીદારી પ્રેરિત રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને પરિણામે જળસ્તર ઊંચા આવ્યા છે અને પાણીનું પાણીદાર વ્યવસ્થાપન શક્ય બન્યું છે. સુજલામ સુફલામ અભિયાન હેઠળ છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં ૧૨૨૭૯ તળાવો ઊંડા કરાયા હતા તે પૈકી ૯૭૦૦ તળાવો સંપૂર્ણ ભરાઈ ગયા છે. એ જ રીતે ૫૭૭૫ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું હતું. તે પૈકી ૪૬૦૦ ચેકડેમોમાં નવો જળસંગ્રહ થયો અને સંપૂર્ણ ભરાઈ ગયા છે સાથોસાથ ૨૩૫૫૩ લાખ ઘનફૂટ જળસંગ્રહ થયો છે. આ અભિયાન અંતર્ગત આવનારા એક વર્ષ સુધી સ્થાનિક કક્ષાએ નાગરિકોને ઘરગથ્થુ પાણી વપરાશનો તથા ઢોર-ઢાંખર માટે પીવાના પાણીની સમસ્યાઓનો નિકાલ થઈ ગયો છે. નાગરિકો-ખેડૂતોનાં હિતમાં રાજ્ય સરકારે સુજલામ-સુફલામ અભિયાન માનવીય સંવેદનાથી હાથ ધર્યુ હતું. જેને સૌ નાગરિકોએ ઉન્માદપૂર્વક વધાવી લીધુ છે જેના પરિણામે જ આ અભિયાનને અપ્રતિમ સફળતા મળી છે કે ગુજરાતમાંથી પાણીની સમસ્યામાંથી સંપૂર્ણ છૂટકારો મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.