Abtak Media Google News

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ટૂંણા –કંડલા બંદરેથી જીવિત પશુઓની નિકાસ તાત્કાલિક અસરથી સ્થાગીત કરવાનો અબોલ પશુજીવ સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે.

તાજેતરમાં જીવતા પશુઓની નિકાસ સંદર્ભે ભારત સરકાર અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયાએ પ્રસિધ્ધ કરેલી સૂચનાઓને અનુલક્ષીને જ્યાં સુધી ગુજરાતમાં આ માર્ગદર્શીકા પ્રમાણેના ધારા-ધોરણો ન સંતોષાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવીત પશુઓની નિકાસ થઈ શકશે નહીં તેવી પશુ જીવદયા પ્રતિબધ્ધતા તેમણે વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય વાણિજય મંત્રીશ્રી સુરેશ પ્રભુને આ અંગે પત્ર પાઠવીને જણાવ્યું છે કે આ માર્ગદર્શીકાને અનુલક્ષીને રાજય સરકાર દ્વારા અત્યારસુધી આપવામાં આવતી લોકલ સર્ટીફીકેશનની મંજુરી નવા નિયમોને કારણે અર્થહિન બની ગઈ છે.

કેન્દ્રીય મંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રીએ આ પત્રમાં એવી વિનંતી પણ કરી છે કે જ્યાં સુધી ક્વોરેન્ટાઇન સ્ટેશન અને સર્ટીફીકેશનની સુવિધાઓ ઉપલબ્ધ ન થાય તે દરમ્યાનમાં પશુઓની કંડલા બંદરેથી નિકાસની પરમીટ બંધ કરવામાં આવે. 

આ ઉપરાંત ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ઓફ એનીમલ રૂલ્સ ૧૯૭૮ અને ધ પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ એકટ ૧૯૬૦ની જોગવાઈઓના ચુસ્તપણે પાલન અને પશુઓના પરિવહન અંગે આંતર રાષ્ટ્રીય ધોરણોના પાલન અંગેનું મીકેનીઝમ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થાય. તે દરમ્યાન આ કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવા પોલીસ તંત્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે.

તદઉપરાંત તૃણા પોર્ટ પરથી ગેરકાયદેસર રીતે પશુઓની નિકાસ ન થઈ શકે તે હેતુથી ગૃહ વિભાગ દ્વારા તાકીદના ધોરણે એક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ તંત્ર ૨૪ X ૭ નિગરાની રાખીને કોઈપણ જીવીત પશુની નિકાસ નહીં થવા દે.

રાજ્ય સરકારના નોટીફીકેશન અન્વયે રાજ્યના તમામ જિલ્લામાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં સ્થપાયેલ જિલ્લાની પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિ (SPCA)ને કોઈપણ પ્રકારનાં પ્રાણી ક્રૂરતાના કિસ્સામાં પ્રિવેન્સન ઓફ એનિમલ ક્રૂઅલ્ટી એક્ટની જોગવાઈઓ અનુસાર સઘન કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય મંત્રીશ્રીને પાઠવેલા આ પત્રમાં ભારત સરકાર તરફથી આ સમગ્ર બાબતે ત્વરીત દરમ્યાન થઈને નિવારણ લાવવા અનુરોધ કર્યો છે.

ટૂંણા કંડલા પોર્ટ ખાતે કસ્ટમસુપ્રીટેન્ડેન્ટને પણ જ્યાં સુધી ભારત સરકાર તરફથી યોગ્ય દીશા નિર્દેશો ન મળે ત્યાસુધી આવી નિકાસ ન કરવા દેવા સૂચનાઓ આપવામાં આવી છે.

• કંડલા બંદરેથી જીવીત પશુઓની નિકાસ કાર્યવાહી તાત્કાલિક અસરથી સ્થગિતકરતા શ્રી વિજયભાઈ રૂપાણી

• ભારત સરકાર અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયાએ પ્રસિધ્ધ કરેલીસૂચનાઓને પગલે આ માર્ગદર્શીકાના ધારાધોરણો ન સંતોષાયત્યાં સુધી તાત્કાલિક અસરથીજીવીત પશુઓની નિકાસ ટૂંણા – કંડલા બંદરેથી નહીં થાય.

• પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રુઅલ્ટી એક્ટના કડક અમલ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ- જીવીત પશુઓની નિકાસ નહીં કરવા દેવા અપ્યા આદેશ.

•કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ અંગેની પૂર્તિ વ્યવસ્થા ન થાય ત્યાંસુધી ગુજરાતમાંથી જીવીત પશુઓની નિકાસ નહીં કરવા દેવાના નિર્ણયની કેન્દ્રિયમંત્રીશ્રીને પત્ર પાઠવી મુખ્યમંત્રીએ આપી જાણકારી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.