Abtak Media Google News

પોશીના તાલુકાના લાંબડીયા ખાતે મુખ્યમંત્રીશ્રીએ પ્રવેશોત્સુક બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો

આદિજાતી પોશીના તાલુકાના સાધુફળો ખાતે રૂ. ૧.૪પ કરોડના ખર્ચે નવનિર્મિત સિઝનલ હોસ્ટેલ તથા ૬૦ શાળા ઓરડાઓનું લોકાર્પણ

શું કહ્યું મુખ્યમંત્રીએ:-

 શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે

 આજનો યુગ જ્ઞાનનો યુગ છે-કોઇપણ રાજય કે દેશનો વિકાસ શિક્ષણ વિના શકય નથી

 રાજ્યનું એક પણ બાળક શિક્ષણ મેળવવાથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે

 આદિજાતિ પટ્ટામાં શૈક્ષણિક સુવિધાઓ વિકસાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ

 બાળકોને ભણાવવાનું વચન માંગતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, હવેનો યુગ એ જ્ઞાનનો યુગ છે. શિક્ષણ વિના ઉધ્ધાર નથી અને શિક્ષણ જ સર્વાંગી વિકાસનો પાયો છે ત્યારે શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.

2 40મુખ્યમંત્રીશ્રીએ આજે કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શૃંખલાની ૧૬મી કડીનો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ તબક્કે લાંબડીયા, દેમતી અને નવાધરાના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે ભુલકાંઓને આંગણવાડીમાં અને ધોરણ-૯ તથા ધોરણ-૧૧માં વિદ્યાર્થીઓનું નામાંકન કરાવ્યું હતું.

બાળકો શિક્ષણ મેળવવા-શાળાએ જવા પ્રેરાય તેવું વાતાવરણ નિર્માણ થશે તો આગામી પેઢી શિક્ષિત બનશે અને તેના પગલે શિક્ષિત સમાજનું નિર્માણ પણ થશે. કોઇપણ રાજ્ય-દેશનો વિકાસ શિક્ષણ વિના શકય નથી એમ તેમણે આ વેળાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ આદિજાતી પોશીના તાલુકાના સાધુફળો ખાતે રૂ. ૧.૪પ કરોડના ખર્ચે નવનિર્મિત સિઝનલ હોસ્ટેલ તથા રૂા. પ.૦૮ કરોડના ખર્ચે બનાવાયેલા પ્રાથમિક શાળાઓના ૬૦ ઓરડાઓનું પણ લોકાર્પણ કર્યુ હતુ. પોશીના તાલુકાની વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ તથા સરસ્વતી સાધના યોજના અંતર્ગત દિકરીઓને સાયકલોનું પણ વિતરણ કરાયું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, એક સમય હતો કે બાળકો શાળાએ રડતા-રડતા જતા અને નામાંકનમાં ગુજરાત પછળ હતું પણ આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૦૦ ટકા નામાંકનના ધ્યેય સાથે શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો. વર્તમાન ગુજરાત સરકારે આ કાર્યક્રમને વધુ પરિણામલક્ષી બનાવવા કમર કસી રાજ્યનું એક પણ બાળક શાળાએ ગયા વિનાનું ન રહે અને શિક્ષણ મેળવવાથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા શાળાપ્રવેશોત્સવથી સુનિશ્ચિત કરી છે.

4 26આદિજાતિ વિસ્તાર એવા પોશીના પટ્ટા સહિત સમગ્ર રાજ્યના વાલીઓ પાસેથી બાળકોને ભણાવાવનું વચન માંગતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રતિવર્ષ શિક્ષણના પાછળ રૂા. ર૭ હજાર કરોડ જેટલો માતબર ખર્ચ કરે છે. બાળકોને મફત શિક્ષણ-ગણવેશ-પુસ્તકો અપાય છે તેની પાછળ બાળકો શિક્ષણ મેળવે તેવો ધ્યેય છે.

આદિજાતિ વિસ્તારમાં ૪પ એકલવ્ય શાળાઓ ઉભી કરી છે અને પપ૦ થી વધુ આશ્રમશાળાઓ ચાલે છે. બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ વગેરે જગાએ મેડીકલ કોલેજનો નિર્ણય કર્યો છે. આદિજાતિ પટ્ટામાં શિક્ષકોની ભરતી પણ વેગવાન બનાવી છે તે જ પુરવાર કરે છે કે રાજ્ય સરકારે આદિજાતી બાળકોના શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ બાળકોના શિક્ષણ પ્રત્યે વાલીઓએ પણ રસ દાખવવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે પોતાનું બાળક શાળાએ જાય છે કે નહી, ભણે છે કે નહી, તેમાં રસ-રૂચિ વાલી દાખવે તો બાળકોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે અને તો જ એક સુશિક્ષિત સમાજનું નિર્માણ થશે.

5 23 મુખ્યમંત્રીશ્રીએ આજે પારસ વિદ્યાલયના એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરી શાળામાં શૈક્ષણિક સુવિધાઓ, અન્ય સુવિધાઓ અનુકુળ વાતાવરણ માટે શિક્ષકો-વાલીઓ વચ્ચે સમન્વય સહયોગ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા કરી સૂચનો કર્યા હતા.

 શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું. 

 આ પ્રસંગે પોશીના તાલુકા સરપંચ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીશ્રીને કન્યા કેળવળી નિધિમાં રૂ. રપ,૦૦૦/- પારસ વિદ્યાલયના દાતા અને ટ્રસ્ટી શ્રી સંકીતભાઇ દોશી દ્વારા રૂા. પ૧,૦૦૦/-નો અને વ્યાપારી મહામંડળ દ્વારા રૂા.પ૧,૦૦૦/-નો ચેક અર્પણ કરાયો હતો. દાતાશ્રી સંકીતભાઇ, ઉત્તમ શિક્ષક શ્રી ઇશ્વરભાઇ વગેરેનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયુ હતું. જ્યારે ધોરણ ૩ થી ૧૦ના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરાયું હતું.

2 41 આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી તખતસિંહ હડિયોલ, શ્રી અશોકભાઇ જોષી, સ્થાનિક અગ્રણી રૂમાલભાઇ ધ્રાંત્રી તાલુકા ભાજપા સંગઠન યુવા મોરચા – મહિલા મોરચના અગ્રણીઓ-હોદ્દેદારો, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ વડા, અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.