Abtak Media Google News

રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અનુસંધાને તા.૨૭નાં રોજ જિલ્લાના અભિયાનનો પ્રારંભ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખડદડ મનહરપુર ગામે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. તેમણે બાળકોને સરળ શબ્દોમાં સમજાવ્યું કે, કરમીયા બાળકોના પેટમાં મહેમાન બની રહે છે અને જે ભોજન લેવામાં આવે તેમાંથી તે પણ પોષણ મેળવે છે એટલે કે ભોજનમાં ભાગ પડાવે છે તેથી બાળકોને ભોજન લેવા છતાં પુરતુ પોષણ મળતું નથી. કરમીયા આપણા ભોજનથી તાજા માજા થઈ ઈંડા મુકે છે જે ખુલ્લામાં જારૂ જવાથી માટી/ધુળમાં ભળે છે જયાં બીજા નાના બાળકો ધુળમાં રમતા હોય તો તેના હાથમાં ચોટી જાય છે અને નરી આંખે ન દેખાય તેવા હોય છે. જો સાબુથી હાથ ધોયા વગર ભોજન લઈએ તો બીજા બાળકોના પેટમાં પણ જાય છે અને ત્યાં પણ ફરી પોષણ મેળવી તાજા થઈ ઈંડા મુકે છે. આમ આ સાયકલ ચાલુ રહે છે.

આ કરમીયાને મારવા માટે આજે આલ્બેન્ડાઝોલની એક ગોળી દરેકે ખાવી જરૂરી છે તો જ આ કરમીયા મરી શકે છે. રીસેસના સમય દરમ્યાન તમારા આજુબાજુના શાળામાં ન ભણતા બાળકોને પણ બોલાવી આ ગોળી ખાવા લાવશો. આ ગોળીની કોઈ આડઅસર નથી તેથી ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને તા.૨૭ ફેબ્રુઆરીના રોજ આ ગોળી અવશ્ય આપવા અપીલ છે. ૧ થી ૧૯ વર્ષની વયના બાળકોમાં કૃમિની તકલીફ જોવા મળતી હોય છે. કૃમિના ચેપથી બાળકોમાં લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટનો દુખાવો, ઝાડા તથા ઉલ્ટી, વજન ઓછુ થવું વગેરે  તકલીફો થાય છે. બાળકોને આ તકલીફથી બચાવવા માટે આરોગ્ય વિભાગ તરફથી તા.૨૭ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ૧ થી ૧૯ વર્ષની વયના તમામ બાળકોને એક જ દિવસે કૃમિનાશક ગોળી ગળાવવામાં આવી હતી. આ માટે આરોગ્ય ટીમો બનાવવામાં આવી હતી. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વયંસેવક જોડાયા હતા. આ દિવસે દરેક ગામમાં બુથ બનાવવામાં આવેલા અને બુથ ઉપર આરોગ્ય ટીમ દ્વારા બાળકોને કૃમિનાશક ગોળી ગળાવવામાં આવી તથા ૩ માર્ચના રોજ મોપઅપ રાઉન્ડ કરવામાં આવશે. જેમાં આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઈ બાળક બાકી નથી તેની ખાત્રી કરશે અને જો બાકી હશે તો બાળકને સ્થળ ઉપર જ ગોળી ગળાવવામાં આવશે. જિલ્લાના ૧ થી ૧૯ વર્ષની વયના કુલ ૭૧૬૧૩૪ બાળકોને ગોળીઓ આપવામાં આવશે.

અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તાર અને ઈન્ડસ્ટ્રીયલ કારખાના, ઈંટુના ભઠ્ઠાના વિસ્તાર માટે મોબાઈલ ટીમો બનાવવામાં આવી છે. અભિયાનને સફળ બનાવવા માટે જનજાગૃતિ માટે પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવશે. રૂબરૂ  મુલાકાત, મીટીંગ, શીબીર, બેનર, પત્રિકા, હોર્ડિંગ્સ, માઈકીંગ, રેલી, સપ્તધારા, મમતા દિવસ વગેરે કામગીરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.