Abtak Media Google News

કોંગ્રેસ ચોક્કસ પ્રકારની ડિઝાઈન સાથે ગુજરાતના નેતૃત્વને બદનામ કરવાના ષડયંત્રો રચતું હોવાના આક્ષેપો: જનતાને નવરાત્રીની શુભકામના પાઠવતા પંડયા

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ગુજરાતના નેતૃત્વને બદનામ કરવા માટે કોંગ્રેસ એક ચોક્કસ પ્રકારની ડિઝાઈન સાથે ગુજરાત વિરોધી ષડયંત્ર સાથે ચાલી રહી છે. કોંગ્રેસની દરેક પ્રવૃતિઓમાં રહેલ વિકૃતિઓને ગુજરાતની જનતા જોઈ રહી છે. કોંગ્રેસ દ્વારા કોઈને કોઈ વર્ગને ઉશ્કેરીને વાદવિવાદ ફેલાવવો. કોઈ જ્ઞાતિ કે સમાજને વારા ફરી ઉશ્કેરીને વેરઝેર ઊભું કરવું. કોઈને કોઈ ઘટનાને રાજકીય ઘટનામાં ફેરવીને હિંસા દ્વારા અશાંતિ ફેલાવવી. આ બધાં જ ઘટનાક્રમો જોઈને ગુજરાતની જનતા માને છે કે, કોંગ્રેસ વાદ,વિવાદ,વેરઝેરની આયોજક છે, કોંગ્રેસ જાતિવાદ, કોમવાદ, પ્રાંતવાદ અને આતંકવાદની સમર્થક છે. ગુજરાતની શાંતિ, એકતા અને વિકાસમાં હમેશાં કોંગ્રેસ અવરોધક છે.

ગુજરાતની પ્રેમ અને એકતા તેમજ શાંતિ, અસ્મિતા અને અહિંસાની ઓળખને બદનામ કરવા કોંગ્રેસની ભૂમિકા ઘાતક છે.પરંતુ ગુજરાતની જનતા તેનાં કોઈપણ બદઈરાદાઓને ફાવવાં દેશે નહિં. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં ચાલતી ભાજપ સરકાર ગુજરાતમાં રહેતા તમામ લોકોને સુરક્ષા આપવા કટીબદ્ધ છે. અશાંતિ ફેલાવનારની સામે કાયદો કાયદાનું કામ કરશે.

ગુજરાતની જનતા કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણો, હિંસાત્મક આંદોલનનાં ષડયંત્રો સારી રીતે જાણી ચુકી છે.

પંડયાએ જણાવ્યું હતું કે, એકબાજૂ નરેન્દ્રભાઈ મોદીની સરકાર સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિની ઉજવણી કરીને તેમનાવિચારોનો વિસ્તાર થાય તેવા કાર્યક્રમો કરી રહી છે જયારે બીજી બાજૂ કોંગ્રેસ ગાંધીજીના ગુજરાતમાં હિંસા દ્વારા અશાંતિ અને અરાજકતા ફેલાવવા માંગે છે.

એકબાજૂ ભાજપ સરકાર શ્રી સરદાર પટેલને માન-સન્માન અને તેમને કરેલા ઐતિહાસિક કાર્યોને બિરદાવવા માટે તા.૩૧ ઓક્ટોમ્બર ૨૦૧૮ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ કરવા જઈ રહી છે. એટલે સમગ્ર દેશની અખંડિતતા અને એકતાનો સંદેશો સમાજમાં ફેલાવવા ગુજરાતમાં માટે એકતા યાત્રાના કાર્યક્રમો હાથ ધરી રહી છે. ત્યારે કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવા સમાજની એકતાને તોડવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ સરકારે હમેશાં લોકો અને સમાજોને જોડવાનો પ્રયાસ કર્યો છે.

કોંગ્રેસના ધારાસભ્યે કરેલ આક્ષેપોની સામે તીવ્ર પ્રતિક્રિયા આપતાં શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતુંકે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જાહેરજીવનનાં લોકઉપયોગી અભ્યાસુ વ્યકિતત્વ છે. જેઓ ત્રણ દાયકાી સાર્વજનિક જીવનમાં તેમનું યોગદાન છે. નીતિનભાઈ પટેલ કડીમાં રહેતાં ૫૦૦૦થી વધુ પરપ્રાંતના લોકો સાથે ૨૫ વર્ષથી હળીમળીને રહે છે. તેમના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સરકારી યોજનાઓનો લાભ પરપ્રાંતના લોકોને અપાવી
રહ્યાં છે.

પંડયાએ જણાવ્યું હતું કે, ડોમિસાઈલ પ્રમાણપત્ર એ ગુજરાતમાં રહેતાં યુવાનોના એડમિશન અંગેનો ટેકનીકલ મુદ્દો છે. કોઈપણ જ્ઞાતિ, સમાજ કે અન્ય રાજ્યોનાં યુવાનો હોય કે જે ગુજરાતમાં રહેતો હોય તેને અન્યાય ન થાય તે માટે એડમિશનમાં ડોમિસાઈલ સર્ટીફિકેટની જોગવાઈ હોય છે.

પંડયાએ ડોમિસાઈલ અંગે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું છે કે, કોગ્રેસે ગુજરાતના યુવાનોની વિરૂદ્ધમાં માનસિકતા પ્રગટ કરી છે. શું કોંગ્રેસ ઈચ્છે છે કે, ગુજરાતમાં રહેતાં યુવાનોને એડમીશનમાં ન્યાય ન મળે ? શું કોંગ્રેસ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં વિશ્વાસ નથી ધરાવતી એટલે તેના વિરૂદ્ધમાં નિવેદનો આપે છે ?

કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો નાટકીય કાર્યક્રમો કરીને મગરના આંસુ સારી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે તા.૧લી મે ના રોજ દેશનું સૌથી મોટું અને લાંબુ જળસંગ્રહ અભિયાન હાથ ધર્યું છે.

પંડયાએ અંતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે મા નવદુર્ગાને પ્રાર્થના સાથે દરેક ભાઈ-બહેનને નવરાત્રીની હ્યદયપૂર્વકની શુભકામના પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.