Abtak Media Google News

સમુદ્રની જળ સપાટી ૧ ફૂટ વધશે તો પણ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ ડૂબી જશે

ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની જળ સપાટી ભયાનક સ્તરે સતત વધી રહી છે. વિશ્વના અનેક શહેરો આગામી ૧૦૦ વર્ષમાં દરિયામાં ગરક થઈ જશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે. જો કે, ૨૧૦૦ના અંત પહેલા વિશ્વના ૮૦ એરપોર્ટ પાણીમાં ડૂબી જશે તેવું તાજેતરમાં વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિટયુટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે. ગ્લોબલ વોર્મિંગની અસર એટલી ઘાતક થઈ ગઈ છે કે, જો પેરીસ એગ્રીમેન્ટના ગોલ પણ પુરા થાય તો પણ ૪૫ જેટલા એરપોર્ટ તો પાણીમાં ડુબી જ જશે તેવી હકીકત વ્યકત કરવામાં આવી હતી.

અહીં નોંધનીય છે કે, સમુદ્ર જળની વધતી સપાટીના કારણે સીંગાપોરનું ચાંગી એરપોર્ટ દ્વારા ટર્મીનલ ૧૮ ફૂટ ઉંચુ કરવામાં આવ્યું છે. આ ટર્મીનલ અગાઉ સમુદ્રની સપાટીથી નીચુ હતું. પરિણામે થોડા વર્ષોમાં જ એરપોર્ટ પાણીમાં ગરક થઈ જાય તેવી ભીતિ સેવવામાં આવી રહી હતી. જો કે, સંચાલકો આ દહેશતને પારખી ગયા હોય. એરપોર્ટને ૫.૫ મીટર એટલે કે, ૧૮ ફૂટ ઉંચુ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આવી રીતે થોડા સમય પહેલા અમેરિકાના બોસ્ટન લોગન એરપોર્ટ અને સેનફ્રાન્સીસ્કો ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ સમુદ્રના પાણીથી બચાવવા તેની આસપાસની ૩ ફૂટ લાંબી દિવાલને ૮ ફૂટ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પાછળ રૂા.૫૮૭ મીલીયન ડોલર ફાળવવામાં આવ્યા છે. વર્તમાન સમયે ઘણા એરપોર્ટ નાના ટાપુઓ પર બનાવવામાં આવ્યા છે. જ્યાં આર્થિક સોર્સ ખુબજ ઓછા છે. આવા એરપોર્ટ ઉપર દરિયાઈ પાણી ફરી વળવાનો સૌથી વધુ ખતરો તોળાઈ રહ્યો છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. કલાઈમેટ ચેન્જની સૌથી ઝડપી અસર એરપોર્ટ પર જોવા મળશે. એરપોર્ટનું બંધારણ દરિયાઈ સપાટીને અનુલક્ષીને કરવામાં આવ્યું હોય છે. જે રીતે કલાઈમેટ ચેન્જી જળ સપાટી વધી રહી છે. તે જોતા આગામી ૮૦ વર્ષમાં ૧૦૦ જેટલા એરપોર્ટ પાણીની અંદર ગરક થઈ જશે. અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ગ્રીન હાઉસ ઈફેકટ અંગે ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રકારની વધુ એક ચેતવણી આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા અપાઈ છે. આ ચેતવણીમાં ન્યુયોર્ક, ચીન સહિતના સ્થળોના સૌથી વ્યસ્ત ગણાતા એરપોર્ટ પર પણ જોખમ હોવાનું જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.