Abtak Media Google News

સુરત, ભાવનગર અને બગદાણા લઇ જઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યોની કબુલાત

શહેરની ભાગોળે આવેલા બેડીની દલિત સગીરાને પ્રેમ ઝાળમાં ફસાવી અપહરણ કરી સુરત, ભાવનગર અને બગદાણા લઇ જઇ અવાર નવાર બળાત્કાર ગુજારવાના ગુનામાં સંડોવાયેલા ગાંધીગ્રામના શાસ્ત્રીનગરના કુંભાર શખ્સની કુવાડવા પોલીસે ધરપકડ કરી એટ્રોસિટીની કલમનો ઉમેરો કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બેડી ગામે રહેતી સગીર બાળાનું ગત તા.૪ જુલાઇએ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. સગીર બાળાનું કોણ અને કયાંથી અપહરણ કર્યુ તે અંગેની કોઇ વિગત ન હોવાથી સગીર બાળા માકેર્ટીંગ યાર્ડમાં કઠોળ સાફ કરવા જવાનું કામ કરતી હોવાથી પી.આઇ. એ.આર.મોડીયા, રાઇટર હીરાભાઇ રબારી અને હિતેશભાઇ ગઢવી સહિતના સ્ટાફે તપાસ કરતા માકેર્ટીંગ યાર્ડ પાસે જ પશુની દવાનું વેચાણ કરતા સોમનાથ મેડિકલ સ્ટોરમાં કામ કરતા ગાંધીગ્રામ વિસ્તારના શાસ્ત્રીનગરમાં રહેતા મેહુલ મહેશભાઇ લાઠીયા નામનો કુંભાર શખ્સ પણ ગુમ હોવાનું અને મેડિકલ સ્ટોરમાંથી રૂ.૪૦ હજાર પણ લઇ ગયો હોવાનું બહાર આવતા કુવાડવા પોલીસે શાસ્ત્રીનગરમાં મેહુલ લાઠીયાને ત્યાં તપાસ કરી હતી.

મેહુલ લાઠીયા સગીર બાળા સાથે ઘરે આવ્યો હોવાથી તેના પિતા મહેશભાઇ લાઠીયાએ ઘરમાંથી કાઠી મુકયાની અને અખબારમાં પોતાને કંઇ સંબંધ ન હોવા અંગેની જાહેર નોટિસ પણ છપાવી હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન મેહુલ લાઠીયાએ પોતાના ઘરે ફોન કરી પોતે બગદાણા હોવાનું જણાવતા મેહુલ લાઠીયાના પિતા મહેશભાઇ લાઠીયાએ ઘરે આવી જવા સમજાવી કુવાડવા પોલીસને સોપી દીધા હતા.

મેહુલ લાઠીયાની પૂછપરછ દરમિયાન સગીર બાળા પર સુરત, ભાવનગર અને બગદાણા ખાતે અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની કબુલાત આપતા પોલીસે તેની સામે બળાત્કાર અને એટ્રોસિટીની કલમનો ઉમેરો કરી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.