Abtak Media Google News

ખેડુતોની આવક બમણી કરવાના વડાપ્રધાનને સ્વપ્નને આગળ ધપાવે છે નર્મદા જિલ્લો

બાગાયત ખેતીમાં નવતર પહેલ માટે નર્મદા જિલ્લાની સ્કોચ એવોર્ડ માટે પસંદગી

નર્મદાનું ગૌરવ રાષ્ટ્રીય સ્તરે વધારનારા ડો. સ્મિતા પિલ્લાઈ વડોદરાના નાયબ બાગાયત નિયામક

કેળના નકામા થડમાંથી ખાતર અને ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓનાં નિર્માણની પહેલ કરી નર્મદા જિલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ખેડુતોની આવક બમણી કરવાના સ્વપ્નને આગળ ધપાવી રહ્યા છે. વડોદરાના નાયબ બાગાયત નિયામક ડો. સ્મિતા પિલ્લાઈની આગવી સૂઝ અને પહેલથી નર્મદા જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ મળ્યું છે.

નર્મદા જિલ્લા પ્રશાસનને બાગાયતના ક્ષેત્રમાં ખેડૂતોની આવકમાં અભિવૃદ્ધિ કરતી અનેક નવી પહેલો દ્વારા રોજગારીની તકો વધારવાની સર્વાંગી કામગીરી માટે રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી દ્વારા દેશના ૧૧૧ જિલ્લાઓની યોજનાઓના સંકલિત અમલ દ્વારા સર્વાંગી વિકાસ માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રિકટ તરીકે પસંદગી થઈ છે અને આ જિલ્લાઓમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓના સંકલિત અને આયોજનબદ્ધ અમલ દ્વારા લોક ઉત્કર્ષ અને બહુઆયામી વિકાસની કામગીરી થઇ રહી છે. ગુજરાતના નર્મદા અને દાહોદ જિલ્લાઓનો તેમાં સમાવેશ થાય છે.    આ આયોજનના ભાગરૂપે નર્મદાના જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તત્કાલીન નાયબ બાગાયત નિયામક ડો.સ્મિતા પિલ્લાઈએ અનેકવિધ નવી પહેલો દ્વારા બાગાયતને આ જિલ્લાના બહુધા આદિજાતિ ખેડૂતો માટે આવક અને રોજગારીનો નવો સ્ત્રોત બનાવ્યો, એ નમૂનેદાર કામગીરીને ધ્યાનમાં લઈને એસ્પિરેશનલ જિલ્લાઓમાં મોખરાનો સ્કોચ પ્લેટિનમ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લો આ શ્રેણીના જિલ્લાઓમાં આ એવોર્ડ મેળવનારો દેશનો પ્રથમ જિલ્લો છે.

અને આ નમૂનેદાર કામગીરી દ્વારા નર્મદા જિલ્લાને ગૌરવ અપાવનારા ટીમ નર્મદાના ડો.સ્મિતા પિલ્લાઈ હાલમાં વડોદરા ખાતે નાયબ બાગાયત નિયામક તરીકે કાર્યરત છે, અને આણંદ જિલ્લાના તેઓ હવાલાના નાયબ બાગાયત નિયામક છે. તેઓ હાલમાં પણ ઉપરોક્ત પ્રોજેક્ટના અમલીકરણમાં નર્મદા જિલ્લા પ્રશાસનને સહયોગ આપી રહ્યા છે.

એક સમયે બાગાયતને ખેતીને પૂરક પ્રવૃત્તિ ગણવામાં આવતી હતી એનો ઉલ્લેખ કરતાં સ્મિતાબેને જણાવ્યું કે, હવે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ બાગાયતને મુખ્ય ખેતી તરીકે અપનાવી લીધું છે અને બાગાયત ખેડૂતોની સમૃદ્ધિનું માધ્યમ બની છે. એટલે જ નર્મદા જિલ્લામાં અમે એસ્પિરેશનલ જિલ્લાના આયોજનમાં અમે બાગાયતમાં નવી પહેલો દ્વારા યોગદાન આપવાનો સંકલ્પ કર્યો.

બાગાયતની આ પહેલો કેવી રીતે પાસું પલટી શકે એના દાખલા આપતાં એમણે જણાવ્યું કે જિલ્લામાં કેળનું વાવેતર ઘણું છે.એમાં એક મોટી સમસ્યા કેળના થડનો નિકાલ કરવાની હતી અમે આ આફતને અવસરમાં પલટવાનું વિચાર્યું અને આ થડના રેષામાંથી સુશોભન અને ગૃહ ઉપયોગની ચીજવસ્તુઓ બનાવવાના કસબને માર્ગે ખેડૂતોને વાળ્યા. આજે આ બિન ઉપયોગી થડમાં થી ખાતર અને ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ બને છે જે આવક આપે છે. થડમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અહીંના લોકોએ બનાવી છે.એક સમયે આ કેળના થડ પર્યાવરણ માટે હાનિકારક બનતા અને તેમના નિકાલ માટે ખેડૂતોએ રૂ.૧૦૦૦૦/હેકટર ખર્ચ કરવો પડતો. આજે એમાંથી ખેતી માટે ખાતર બને છે અને આવક થાય છે. અહીંના ખેડૂતો નિકાસ માટેની ગુણવત્તા ધરાવતા કેળા પકવતા થયા છે.

એ જ રીતે દેડિયાપાડા તાલુકામાં ૧૦૦ જેટલા લોકો છે જે જંગલમાં ઉગતી ઔષધીય વનસ્પતિઓ ની દવા બનાવી દેશી વૈદું કરે છે. એમને હરિયાણાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ધર્મવીરજીને નર્મદા જિલ્લામાં બોલાવી મલ્ટી ફૂડ પ્રોસેસર મશીનના ઉપયોગથી ઔષધીય વનસ્પતિઓના પ્રોસેસિંગની, યોગ્ય પેકેજીંગની તાલીમ અપાવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમના ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા ગોઠવી, એમનું જૂથ બનાવ્યું. પરિણામે અગાઉ જ્યાં વર્ષે માંડ એક લાખ રૂપિયાની આવક થતી, ત્યાં આજે તેઓ એક મહિનામાં એટલી કમાણી કરી શકે છે અને એમના દેશી ઓસડિયાના પૂરવઠા કરતાં માંગ વધી ગઈ છે. એ જ રીતે જિલ્લાના ખેડૂતોને ઓછા પાણીએ ડ્રેગન ફ્રૂટ, થાઇલેન્ડના જામફળ જેવા નવા ફળ પાકોની ખેતી સાથે જોડી આવક વધારી છે. જમીન વિહોણા આદિજાતિ ખેડૂતોને ઘરના એક રૂમમાં પૌષ્ટિક મશરૂમની ખેતી કરતાં કર્યા છે તો માત્ર મધ માટે નહિ પણ પરાગનયન વધારી ખેત ઉત્પાદન વધારવા માટે મધમાખીના ઉછેર માટે પ્રેરિત કરીને ખેત ઉત્પાદન અને આવકમાં વધારાનો રસ્તો બતાવ્યો છે. ભારત સરકારની નેમ ખેડૂતોની આવક બમણી કરવાની છે જેમાં આ પહેલોથી નિર્ણાયક યોગદાન મળ્યું છે. અમારી આ પહેલોની સકારાત્મક નોંધ લઇને નર્મદા જિલ્લાને આ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો એનો ખૂબ આનંદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.