Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતીના વહનના કારણે જાહેર અવર-જવર કરતી વ્યકિત, પશુઓ વિગેરેને અકસ્માત થવાના પ્રસંગો બનતા હોઈ સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન. ડી. ઝાલાએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સાંજના ૧૮-૦૦ કલાક થી સવારના ૬-૦૦ કલાક સુધી રેતીનું વેચાણ/રેતીના ટ્રક, ટ્રેકટર, ડમ્પર વગેરે વાહનો કે અન્ય રીતે રેતીની હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે રેતીના ખનન કરનારા પરવાનાદારોના ડમ્પર, ટ્રક વિગેરે વાહનો દ્વારા રેતીની હેરફેર જિલ્લાના મુખ્ય હાઈવે તેમજ કાચા પાકા રસ્તાઓ થકી થાય છે. જેના કારણે રાત્રીના અકસ્માતોના બનાવ વધવા પામેલ છે. આ ઉપરાંત રાત્રીના સમયે રેતીના વેચાણ થવાના કારણે રેતી સ્ટોક પરવાનો ધરાવનાર પરવાનેદારોને  ગામ લોકો સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. નાગરિકો દ્વારા રેતીના લીઝ હોલ્ડરો/રેતી સ્ટોક પરવાનેદાર સાથે અવાર-નવાર ઘર્ષણ થતું હોવાથી રજુઆતો/ફરિયાદો પણ કરવામાં આવે છે, તેમજ રાત્રીના સમયે રેતીનું વેચાણ થવાથી અંધારનો ગેરલાભ લઈ ગેરકાયદેસર રેતી વહનની પ્રવૃત્તિને ઉત્તેજન મળે છે. જેને ધ્યાને લઈ ગેરકાયદેસર રેતીનું વહન અટકે, જાહેર શાંતી અને સલામતી જોખમાય નહીં તેમજ રસ્તાઓમાં અકસ્માત ન થાય તે માટે જાહેર જનતાના હિતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રીના સમયે રેતી સ્ટોકનો પરવાનો ધરાવનાર દ્વારા થતા રેતીના વેચાણ ઉપર નિયમન કરવું જરૂરી જણાતા  સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨/૮/૨૦૧૯ સુધી સાંજના ૧૮-૦૦ કલાક થી સવારના ૬-૦૦ કલાક સુધી રેતીનું વેચાણ/રેતીના ટ્રક, ટ્રેકટર, ડમ્પર વગેરે વાહનો કે અન્ય રીતે હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં તથા ગુજરાત માઈન્સ એન્ડ મિનરલ એકટ અન્વયે રેતી ખનન સમયે તેમજ અન્ય તમામ કાયદા/ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા કરાવનાર દંડને પાત્ર થશે તથા  આ હુકમ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ માટે અધિકૃત કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.