Abtak Media Google News

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી કાલે અટલજીની અસ્થિ લઈ ગુજરાત આવશે: રાજયની છ નદીઓમાં વિસર્જન

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી બાજપાઇજી શ્રધ્ધાંજલી અર્પણ કરવા આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સાંજે ૪ થી ૬ દરમિયાન સર્વદલીય પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ દરમિયાન ગુજરાત યુનિવર્સીટી ક્ન્વેન્શન હોલ ઓડિટોરિયમ (જીએમડીસી) અમદાવાદ ખાતે સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભા રાખવામાં આવેલ છે. જેમાં તમામ પાર્ટીના આગેવાનો/કાર્યકરો, સંતો-મહંતો, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ વેપારી એસોસીયેશનો, સાહિત્યકારો તેમજ તમામ સમાજ-વર્ગોના લોકોની ઉપસ્થિતિ પ્રાર્થનીય છે.

૨૨ ઓગષ્ટના રોજ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી દિલ્હીથી અટલજીના અસ્થિકુંભ લઇ અમદાવાદ એરપોર્ટ ખાતે બપોરે ૩.૦૦ કલાકે આવશે. જ્યાં  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહી અસ્થિકુંભને પૂષ્પાંજલિ અર્પણ કરશે ત્યારબાદ ખાડિયા ગોલવાડ ભાજપા કાર્યાલયથી અસ્થિ વિસર્જન યાત્રા શરૂ થઇ ખાડિયા ગેટ-રાયપૂર ચકલા-છબીલા હનુમાન-રૂગનાથ પુરાની પીઠ-ખમાસા ચાર રસ્તા થઇ સાબરમતી રિવરફ્રન્ટ ટીળક ગાર્ડન પાસે પહોંચશે. જ્યાં સાબરમતી નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે.

૨૫મી ઓગષ્ટના રોજ સુરતની તાપી નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે જેમાં, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહેશે. આજ રીતે રાજ્યના મંત્રીઓ તથા પ્રદેશ અગ્રણીઓ જુદી-જુદી જગ્યાઓએ અસ્થિ વિસર્જન યાત્રામાં જોડાશે. તારીખ ૨૫ ઓગષ્ટના રોજ સોમનાથના ત્રિવેણી સંગમમાં તેમજ ૨૭ ઓગષ્ટના રોજ વડોદરાની મહી નદી, સિદ્ધપૂરની સરસ્વતી નદી તથા ભરૂચની નર્મદા નદીમાં આદરણીય અટલજીના અસ્થિ વિસર્જન કરવામાં આવશે.

આગામી ૨૫ થી ૩૦ ઓગષ્ટ દરમ્યાન ગુજરાતના તમામ જીલ્લા મથકો તથા તાલુકા મથકોએ પણ સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવા યોજાનાર સર્વદલીય સાર્વજનિક પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહેવા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ગુજરાતની જનતાને અનુરોધ કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.