Abtak Media Google News

રાષ્ટ્રસંતની અમૃતવાણીમાં આત્માશુદ્ધિથી આત્મા સામર્થ્ય પ્રગટ કરવાનો બોધ પામ્યાં જંકશન પ્લોટ સંઘના ભાવિકો

આત્મગુણોનાં શ્રેષ્ઠ સ્થાન પર બિરાજમાન થઈને અનેક અનેક પામર જીવોને શ્રેષ્ઠતાના માર્ગ તરફ દોરી જઈ રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ રાજકોટનાં  જંકશન પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘમાં પધારતા સમગ્ર સંઘે અંતરના ઉમળકા અને અત્યંત ભક્તિભાવે એમનું સ્વાગત કર્યું હતું.  રાષ્ટ્રસંત પૂજ્યના આગમનને વધાવવા સંઘનાં બહેનોએ મસ્તકે કલશ ધારણ કરીને જયકાર ગજાવતાં સ્વાગત સામૈયુ કર્યુ હતું.

લાંબા સમય પછી સંઘમાં રાષ્ટ્રસંતપૂજ્યના આગમન સાથે પાંચ વર્ષ પછી સૌરાષ્ટ્ર-રાજકોટમાં પધારેલાં પૂજ્ય સુમતિબાઈ મ. આદિ થાણા  ૫નો પાવન યોગ સર્જાતાં સંઘમાં આનંદ પ્રસરાયો હતો. એ સાથે જ, દીર્ઘ કાલિન દીક્ષા પર્યાયી પૂજ્ય ધીરજમુની મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂજ્ય જ્યોત્સનાબાઈ મ. પણ આ અવસરે વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાંહતાં.

આ અવસરે અત્યંત હૃદયસ્પર્શી શૈલીમાં રાષ્ટ્રસંત પૂજ્યએ ઉપસ્થિત ભાવિકોને બોધ આપતાં સમજાવ્યું હતું કે, વિસ્તાર ચાહે કોઈ પણ હોય, સ્થાન ચાહે કોઈ પણ હોય પરંતુ ધર્મ પ્રત્યેનો હૃદયનો ઉત્સાહ ભાવ તે કર્મ નિર્જરા અને ધર્મ આરાધનાની શ્રેષ્ઠતાનું કારણ બનતું હોય છે.

પરમાત્મા કહે છે, જેમ જેમ એનર્જીકબોડી પ્યોર થતું જાય છે તેમ તેમ આત્માની સહનશીલતાનો અને ક્ષમતાનો વિકાસ થતો જતો હોય છે. પ્રભુ અને પ્રભુ ધર્મને માનનારાઓની સહનશીલતાનો દિવસે ને દિવસે વિકાસ થવો જોઈએ જયારે કે, આજે ઘર-ઘરમાં સહનશીલતા દિવસે ને દિવસે ઓછી થઇ રહી છે. આ અવસરે ડો. પૂજ્ય અમીતાબાઈ મહાસતીજીએ સુંદર ભાવોને અભિવ્યક્ત કરીને પ્રવચન આપ્યું હતું. આ અવસરે મુંબઈ ઘાટકોપર સંઘનાં મુકેશભાઈ કામદાર, રોયલ પાર્ક સંઘનાં પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ, સદર સંઘનાં મધુભાઈ શાહ, ગોંડલ રોડ વેસ્ટ સંઘનાં કિરીટભાઈ શેઠ, મહાવીર નગર સંઘનાં પ્રતાપભાઈ વોરા, ઉવસગ્ગહરં સાધના ભવનનાં સુશીલભાઈ ગોડા, સુજીતભાઈ ઉદાણી, મુંબઈ પરસધામના જીગરભાઈ શેઠ સહીત વિશાળ સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.