Abtak Media Google News

રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના ૫૦માં જન્મદિન નિમિતે ૫૦ પાંજરાપોળોને એક વર્ષ માટે મેડિકલ સહાય અપાશે

રાષ્ટ્ર સંત નમ્રમુનિ મ.સા.નાં પાવન સાનિધ્યમાં અર્હમ યુવા ગ્રુપ તથા સમસ્ત મહાજન દ્વારા ગૌશાળા-પાંજરાપોળના ટ્રસ્ટીઓ સાથે સંવાદમાર્ગદર્શન ઓનલાઈન શીબીર યોજાઈ ગઈ. આ સંવાદમાં સમગ્ર ગુજરાતની ૧૫૦ જેટલી પાંજરાપોળોના સંચાલકો હાજર રહયાં હતાં. રાષ્ટ્ર સંત નમ્રમુનિ મ.સા.નો ૫૦મો જન્મદિવસ ‘પરમોત્સવ’ તરીકે ૨૫ થી ૨૭ સપ્ટેમ્બર દરમ્યાન ઉજવવામાં આવનાર છે ત્યારે સમગ્ર દેશ અને વિદેશમાં અનેકવિધ મેગા સત્કાર્યો દર્દીનારાયણ-દરીદ્ર નારાયણ, અબોલ જીવો અને માનવતાની સેવામાં થનાર છે.

ઓનલાઈન શીબીરની શરૂઆતમાં પોતાના આશીર્વાદ સાથે રાષ્ટ્ર સંત નમ્રમુની મ.સા.એ ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોની જીવદયા પ્રવૃતિઓ, સતત પુરુષાર્થ બદલ અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી. વૈશ્વીક સ્તરે જળ,જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે દશકાઓથી પ્રયત્નશીલ અને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય ગીરીશભાઈ શાહે સૌ જીવદયા પ્રેમીઓને આગામી સમયમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વળવા, વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા, ગૌ આધારીત સંસ્કૃતીનું પુન:સ્થાપન, ગૌચર વિકાસ, મુદા ઉપર માર્ગદર્શન  આપ્યું હતું. આ વર્ષના બજેટમાં ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે પાંજરાપોળોની આંતરમાળખાકીય સુવિધાઓ અંગે જાહેર કરેલા ૧૦૦ કરોડ રૂપીયાની સહાયનો મહતમ લાભ, લઘુતમ સમયમાં લેવા માટે વિવિધ પેપરવર્ક સહીતની છણાવટ ગીરીશભાઈએ કરી હતી. નમ્રમુની મ.સા.એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલા વિવિધ જીવદયા સત્કાર્યો અંગે પોતાના હૃદયની પ્રસન્નતા વ્યકત કરી હતી અને આશીર્વાદ આપ્યા હતાં.

આ તબકકે નમ્રમુનિ મ.સા.ના ૫૦માં જન્મદિન નિમીતે યોજાનાર પરમોત્સવ અંતર્ગત, પ્રથમ તબકકે ૫૦ પાંજરાપોળોને એક વર્ષ માટેની મેડીકલ સહાય આશ્રીત પશુ-પક્ષીઓની સારવાર માટે અપાશે તેવી ઉમદા જાહેરાત થઈ હતી. આગામી સમયમાં વધુ પાંજરાપોળોને પણ આ યોજનામાં જોડવાનો પ્રયાસ દાતાઓના સહકારથી કરાશે. જે પાંજરાપોળોમાં અબોલ જીવોને મેડીકલ સારવાર આપવામાં આવતી હોય તેઓને પોતાની વિગતો મો. નં. ૭૩૦૩૦ ૦૦૮૮૮ પર મોકલી દેવા અર્હમ યુવા સેવા ગ્રુપ અને સમસ્ત મહાજનની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.