Abtak Media Google News

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી

બે હજારથી વધુ  રાશન કીટનું વિતરણ, ચબૂતરાઓમાં પક્ષીના ચણની વ્યવસ્થા અને ગૌશાળામાં ઘાસ તેમજ ગરીબોને ભોજન કરાવવાનો સેવાયજ્ઞ કાર્યરત

જૈન સંત રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર અર્હમ યુવા સેવા ગ્રુપ વર્તમાનની વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવીડ-૧૯ને કારણે સર્જાયેલી લોકડાઉનની પરિસ્થિતિમાં મનુષ્યો અને અબોલ જીવોને બચાવવા છેલ્લા એક અઠવાડિયાથી મક્કમ પ્રયાસો કરી રહી છે. જેમાં મુંબઇ, કોલકાતા અને સૌરાષ્ટ્રના વેરાવળ, ગોંડલ, અમરેલી, વિસાવદર, જૂનાગઢ આદિ અનેક ક્ષેત્રોમાં ૨ હજાર રૂપિયાથી વધુની ગ્રોસરી કીટ આપવામાં આવી રહી છે.

પારસધામ-કોલકાતા, પાવનધામ-મુંબઇથી દરરોજ સવારે અનેક વડીલોને ટિફીન મોકલવામાં આવે છે. ઉપરાંત રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા, મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ, જામનગર આદિ અનેક ક્ષેત્રોમાં ગરીબોને દરરોજ ભોજન જમાડવામાં આવે છે. તેમજ રાજકોટમાં વિવિધ ચબૂતરાઓમાં પક્ષીઓની ચણ માટે ૧૦૦ કટ્ટા ચણનું વિતરણ થઇ ચૂક્યું છે અને આ સેવા હજુ અવિરત ચાલું છે. દરરોજ ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસ મોકલવામાં આવે છે. રોટી ઓન વ્હીલ્સ-તપસમ્રાટ પ્રસાદ દ્વારા દરરોજ ગરીબોને ૮ હજાર રોટલી અને શાકનું ભોજન જમાડવામાં આવે છે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી રાજકોટના કરુણા ફાઉન્ડેશનને રૂપિયા ૧૦ લાખ એનિમલ સહાય અને અબોલ જીવોની સહાય અર્થે અર્હમ યુવા સેવા ગ્રુપ સાથે મળીને સેવા માટે આપવામાં આવી રહી છે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની કરુણા ભાવના અને પ્રેરણા છે કે વર્તમાન પરિસ્થિતિમાં જેટલી બને તેટલી વધુ સેવા અને સહાય દ્વારા માનવતા અને જીવદયાના સત્કાર્ય કરવા અને એ માટે અર્હમ યુવા સેવા ગ્રુપ અને એનીમલ હેલ્પલાઇન રાત-દિવસ સેવા આપવા તત્પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.