Abtak Media Google News

ભૂતકાળમાં પણ તલાટીની નોકરીમાં વ્યાપક કૌભાંડ બહાર આવ્યું હતું. તલાટીની નોકરીઓના કરોડો ‚પિયાના કૌભાંડમાં ભાજપના મળતિયાઓ જે સંડોવાયેલા હોવાથી તેમાં ભીતું સંકેલી લેવામાં આવ્યું તેમ અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિએ રાજયપાલને આપેલા આવેદન પત્રમાં જણાવ્યું છે.

તમામ મોરચે નિષ્ફળતાઓનો ઇતિહાસ ધરાવતી રાજયની ભાજપ સરકારે ગુજરાતના યુવાનોની રોજગારીના મામલે અસહ્ય અને ગુન્હાહીત બેદરકારી દાખવી છે. રાજયની રૂપાણી સરકારની આવી ગંભીર બેદરકારી અને લાપરવાહીનો વરવો લોકરક્ષકની ભરતી પરીક્ષામાં થયેલા છબરડાથી વધુ એક વખત બહાર આવ્યો છે.

પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી ત્યારે હજારો યુવાનો અટવાઇ પડયા હતા અને તેમને ઘરે જવામાં પણ પારાવાર મુશ્કેલી પડી અને અરાજકતા સર્જાઇ ગઇ. તેમને નોકરી મળવાના અરમાનો તો આ અરાજકતામાં ધરબાઇ ગયા. આમ રાજયની ભાજપ  સરકારે રાજયના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે.

અને ભાજપ સરકારની બેદરકારીને લીધે લાખો બેરોજગાર યુવાનો સાથે ક્રૂર મજાક થઇ છે. એટલું જ નહી લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું લીક થયું હોવાની પરીક્ષાર્થીઓને સમયસર જાણ કરવામાં ન આવી અને લાખો યુવાનોને બેરોજગારીની કફોડી પરિસ્થિતિમાં નાહકનો ખર્ચ થશે. અને ભારે હાલાકીનો ભોગ બનવું પડયું. રાજયની ભાજપ સરકાર યુવાનોને રોજગારી પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નીવડયા પછી પણ યુવાનોની હાલાકીમાં વધારો કરી રહી છે તે અત્યંત શરમજનક છે.

આ સંજોગોમાં રાજયની ભાજપ સરકારમાં જો સહેજ પણ શરમ બચી હોય તો, રાજયના મુખ્યમંત્રીએ તાત્કાલીક રાજીનામું આપી દેવું જોઇએ. અને યુવાનોની માફી માંગવી જોઇએ. એવી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.