Abtak Media Google News

કોરોના વાયરસની મહામારીએ ભારતમાં પણ ગંભીર રૂપ ધારણ કરી લીધું છે. જામનગર જિલ્લામાં પણ બહારથી આવેલ લોકોમાં વધુ પોઝીટીવ કેસ જોવા મળ્યા છે ત્યારે જામનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે અનુસંધાને હોટેલ, રેસ્ટોરન્ટ તથા ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકિંગ કરી લોકોને ભીડમાં ન રહેવા તેમજ કોરોના વાયરસ સંબંધી તકેદારી રાખવાના ભાગરૂપે સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ સાવચેતી રાખવા અને જાહેર સ્થળો પર લોકોને અનઅધિકૃત રીતે એકઠા ન થવા તેમજ હોમ ક્વોરેન્ટાઇન વ્યક્તિએ નિયમોનું  કડકપણે પાલન કરવા અંગેનું જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ  રવિશંકર દ્વારા જાહેરનામું બહાર પાડી લોકોને જણાવવામાં આવ્યું છે.

લોકડાઉનની સુચારૂ રૂપે અમલવારી કરાવવા માટે જામનગર પોલીસ અધિક્ષક શરદ સિંઘલ અને એ.એસ.પી સફીન હસન તથા નાયબ પોલીસ અધિક્ષક એ.પી.જાડેજાના માર્ગદર્શન મુજબ જામનગર પોલીસ એલર્ટ સીટીઝન એપ્લિકેશન બનાવવામાં આવી છે.

આ એપ્લિકેશન દ્વારા હોમક્વોરેંટાઇન કરેલ વ્યક્તિઓ પર ડિજિટલ સર્વેલન્સ રાખવામાં આવશે. હોમ ક્વોરેંટાઇન કરેલ કોઈ વ્યક્તિ પોતાના ઘરની બહાર નીકળે અને ઘરથી દૂર જાય તો તે બાબતનો રિપોર્ટ એપ્લિકેશનમાં જનરેટ થાય છે, જેથી પોલીસ વિભાગને તાત્કાલિક જ તેની માહિતી મળે છે. પોલીસ દ્વારા કોઇપણ સમયે હોમ ક્વોરેંટાઇન વ્યક્તિને ફોન કરી તેઓનો હાલનો ફોટો અપલોડ કરવા માટે પણ જણાવવામાં આવે છે, જો બહાર હોય તો તે પણ ખબર પડી શકે છે. આ ઉપરાંત આ સિસ્ટમમાં અક્ષાંશ-રેખાંશ ચોક્કસ લોકેશન બતાવે છે તેથી તે વ્યક્તિ કોઈ ચોક્કસ જગ્યાએ ગયા હોય તે અંગેનો સમય તથા વિસ્તાર સહિતનો રિપોર્ટ જનરેટ થાય છે. આ સિસ્ટમમાં કોઈ વ્યક્તિ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ નેટ બંધ કરે અથવા લોકેશન બંધ કરે તો પણ તે બાબતનો રિપોર્ટ એપ્લિકેશનમાં દર્શાવવામાં આવે  છે અને પોલીસ વિભાગને તાત્કાલિક તેની જાણ થાય છે.

આ એપ્લિકેશન દ્વારા જામનગરમાં જાહેરનામાનો ભંગ કરતા હોમ ક્વોરેંટાઇનમાંથી બહાર નીકળેલ એક વ્યક્તિ ઉપર કેસ પણ નોંધાયેલ છે. જેમાં ગોકુલ નગર, રડાર રોડ, નારાયણ નગર, શ્રુતિ પાર્ક બ્લોક નં.૫૬/૫ જામનગરમાં રહેતા ૫૩ વર્ષીય કાંતિભાઇ ઉર્ફે કાનાભાઈ અંબારામભાઈ સરડવા હોમ ક્વોરેંટાઇનનો ભંગ કરી ઘરની બહાર નીકળતા તેમના પર જામનગર પોલીસ એલર્ટ સીટીઝન એપ્લિકેશનના રિપોર્ટ આધારે  આઇ.પી.સી. કલમ ૨૭૦, ૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ના કાયદાની કલમ ૫૧ (બી) મુજબની કાર્યવાહી પણ થયેલ છે.

જામનગરની જનતા નિયમોનું પાલન કરે અને કોરોનાની બીમારીથી બચી શકે તે માટે પોલીસ વિભાગ સતત કાર્યરત છે ત્યારે જામનગરવાસીઓ પોલીસને સહકાર આપે અને સુરક્ષિત રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.