Abtak Media Google News

કાશ્મીરના પુલવામા ખાતે CRPFના 44 જવાનોનો ભોગ લેનારા આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સોમવારે ‘ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન’ (AICWA) દ્વારા સત્તાવાર રીતે પાકિસ્તાની અભિનેતાઓ અને તમામ કલાકારો પર બ્લેન્કેટ બેન મૂકી દેવાયો છે. આ બાબતનું એક સત્તાવાર સ્ટેટમેન્ટ પણ જારી કરવામાં આવ્યું છે. એટલે હવે કોઈ પણ પાકિસ્તાની આર્ટિસ્ટ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ નહીં કરી શકે.

AICWAના જનરલ સેક્રેટરી રોનક સુરેશ જૈનના હસ્તાક્ષર સાથેના આ સ્ટેટમેન્ટની સબ્જેક્ટ લાઈનમાં ‘પાકિસ્તાની આર્ટિસ્ટ્સ બેન્ડ ઈન ફિલ્મ ઈન્ડસ્ટ્રી’ લખવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટમાં આ પ્રકારનું લખાણ મુકાયું છેઃ

‘ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આપણા સૈનિકો પર થયેલા ઘાતકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. શહીદોના પરિવારજનો પ્રત્યે અમારી સાંત્વના છે. AICWA આ આતંક અને માનવતાહીન કૃત્યની સામે સમગ્ર દેશ સાથે ઊભું છે.

આ સાથે અમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા પાકિસ્તાની અભિનેતાઓ અને આર્ટિસ્ટો પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરીએ છીએ. તેમ છતાં જો કોઈ સંસ્થા પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાનો આગ્રહ રાખશે તો તેને AICWA દ્વારા તાત્કાલિક ધોરણે બૅન કરવામાં આવશે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ નિર્ણય રાજ ઠાકરેની પાર્ટી ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ દ્વારા મ્યુઝિક કંપનીઓને પાકિસ્તાની ગાયકોનાં ગીતો ઉતારી લેવાની ધમકી અપાયાના બીજા દિવસે આવ્યો છે. તે પછી ટી-સિરીઝે બે પાકિસ્તાની ગાયકો રાહત ફતેહ અલી ખાન અને આતિફ અસલમનાં ગીતો યુટ્યુબ પરથી ઉતારી લીધાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.