Abtak Media Google News

“બીજી ચૂંટણી આવી ત્યાં સુધી પદાધિકારી (રાજકીય) આરોપીને અટક કરવાના બાકી હતા; ‘કોણ તેને પકડશે?’ તેમ પોલીસવડાએ બીડુ ફેરવતા જયદેવે તે બીડુ ઉપાડી લીધુ!

અવીરત ઉત્કૃષ્ટ અને સફળ કામગીરીને કારણે ભાવનગર જિલ્લાનાં સ્પેશ્યલ ઓપરેશન સ્કોડ અને ફોજદાર જયદેવનું નામ પ્રેસ મીડિયામાં જલજલા થઈ ગયું આથી એવું બનવા લાગ્યું કે મીડીયાના પ્રતિનિધિઓ રોજેરોજ સ્કોડની કચેરીએ ફોન કરીને શું નવું ઓપરેશન પાર પાડયું તેની પૂછપરછ કરવા લાગ્યા તેજ પ્રમાણે પોલીસ વડાની પણ અપેક્ષા વધી ગઈ, પહેલા એમ પૂછતા હતા કે ‘હપ્તે મેં કીતની કામગીરી હુઈ?’ હવે દરરોજ પુછવા લાગ્યા કે ‘આજકા કયા હૈ?’ આથી જયદેવને એમ થતું કે આ કાંઈ જાદુગરનો ખેલ થોડો છે તે દરરોજ કાંઈક બતાવી શકાય? તેમ છતા જયદેવની ટીમ પણ જાદુગર જેવી હતી જો કોઈ સારી કામગીરી જથ્થા બંધ રીતે એક જ દિવસમાં થઈ હોય તો એક સાથે એક જ દિવસમાં નહિ બતાવતા કામગીરીના અમુક હિસ્સા એક પછી એક દિવસના અંતરે દર્શાવતા જેથી રોજના હિસાબના પ્રશ્ર્નનું આંશિક નિરાકરણ થતું.

એક દિવસ જયદેવની ટીમ વલ્લભીપૂર ચમારડીથી ભાવનગર તરફ આવી રહી હતી, દરમ્યાન કરદેજ રોડથી નેસડા તરફ જતા રસ્તાના ત્રીભેટે  એક મારૂતીવેન કાર લીબડાના ઝાડ નીચે ઉભી હતી અને તેનાથી થોડે દૂર એક બાવળના ઝાડ નીચે પાંચ છ ઈસમો કુંડાળુ વળીને બેઠા હતા. પ્રથમ દ્રષ્ટીએ તો કદાચ જુગાર રમવા કે દારૂ પીવા બેઠા હોય તેમ લાગ્યું પરંતુ આ રીતે આ અમદાવાદ ધોરી માર્ગ ઉપર કોઈ આવી હિંમત કરે નહી તેમ વિચાર આવ્યો તેથી જીપને સીધી જવા દેવાનું વિચાર્યું પણ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ બોલ્યા ‘સાહેબ ફીર આજકા કયા?’ ભાવનગરમાં તો હવે કોઈ શિકાર મળતા નથી. બધુ ઝડબે સલાક બંધ છે !’ આથી જયદેવ સમજી ગયો અને ટાટા સુમો ઉભી રખાવી બેઠેલાઓ ને ચેક કરતા જમાદાર તાજમહમદ આ પૈકી એકના ને ઓળખી ગયા અને બોલ્યા ‘આલે લે આતો લાંબા સમયથી વોન્ટેડ આરોપી ભૂરીયો?’ તેથી સાથે ના તમામ જવાનોએ આ ટોળકીને ઘેરી લઈ એક પછી એક ઝડતી તપાસ કરતા ભુરીયા પાસેથી લોડેડ પીસ્તોલ મળી આવી અને બીજા દરેક પાસે કાંઈક ને કાંઈક હથીયાર હતા કોઈ પાસે જમૈયો તો કોઈ પાસે છરો તો કોઈની કમરે બાંધેલ લોખંડની ચેઈન ! મારૂતી વેન ચેક કરતા તેમાંથી પણ ઘાતક હથીયારોનો ખજાનો હોકી, બેઝબોલ ધોકા ગુપ્તી, ધારીયા વિગેરે મળી આવ્યા આથી જયદેવને થયું કે નકકી આ ટોળકી કયાંક ‘મોટો હાથ મારવાની’ તૈયારીમાં લાગે છે. આ તમામ રીઢા ગુનેગારો હતા તેથી ખરેખર શા માટે અહી એકઠા મળીને બેઠા હતા તે સીધી કે આડકતરી રીતે બીજી કડક પૂછપરછમાં પણ કાંઈ બોલે તેમ ન હતા. જયદેવે અનુમાન લગાડયું કે કાંતો ડાયમંડની પેઢી ઉપર હલ્લો હોય શકે અથવા કોઈ હીરા વાળા પાસેથી ખંડણી વસુલવા અપહરણ કરવાની તૈયારીમાં હોય તેમ લાગે છે. પૂછપરછ કરતા આ શકદારોએ એવો ખુલાસો કર્યો કે હવે તો પોતે સુધરી ગયા છે અને જીલ્લાના એક મોટા રાજકીય માથા (પદાધિકારી)ના ટીવી કેબલ નેટવર્કના કામે પાલીતાણા જતા હોય અહી થોડીવાર રોકાયા છે! પરંતુ જયદેવને આ રીતે સશસ્ત્ર તૈયારી સાથે આ રીતે અંતરીયાળ બેસી ને અને તે પણ નામચીન વ્યકિતના કામે સીધી રીતે સીધા કામે જતા હોવાનો ખુલાસો ગળે ઉતર્યો નહી. જયદેવને થયું કે જે હોય તે પણ બે ત્રણ દિવસની કામગીરી (બીપીએકટ કલમ ૧૩૫ના પાંચ કેસ, એક વોન્ટેડ આરોપી પકડયો; અનેક ફાયર આર્મી પિસ્તોલ પકડયાનો કેસ શોધી કાઢ્યો)નો મશાલો તો મળી ગયો.

જયદેવ રસ્તામાં આવતા એક પેટ્રોલ પંપ ઉપરથી આરીતેના આરોપીઓ પકડવાની પોલીસ વડાને વાત કરી માહિતગાર કર્યા અને જણાવ્યું કે જીલ્લાના સૌથી મોટા રાજકીય પદાધિકારીના આ માણસો હોવાનું જણાવતા હોવાનું પણ કહ્યું. આથી નિષ્ઠાવાન પોલીસ વડાએ જયદેવને કહ્યું ‘અરે ! ઈસમે કયા બડી બાત હૈ, જો ભી હો બક્ષના મત, ઐસે લોગો કો તો ઓરિસ્સા મેં પીનલ કોડ કલમ ૩૯૯, ૪૦૦ ૪૦૨ કે મુતાબીક, પકકા બુક કરદેતે હૈ, ઈસ તરહ ઈન લોગોકો ભી બુક કરને મેં કોઈ મુશ્કિલ નહી હૈ’ જયદેવે જોયુ કે ખરેખર આરોપીઓની સંખ્યા પાંચની હતી. વળી આ નોંધાયેલા ગુનેગારોનો છે જ ઉપરાંત તેઓ લૂંટફાટ અને મારામારી કરવા વાળા તથા ભયંકર શસ્ત્રો ધારણ કરેલા જ હતા તેથી ધાડ પાડવાની તૈયારી વાળી ધાડપાડુ ટોળકી જ કહી શકાય.

જયદેવે જે તે સ્થળ ઉપર જ બે પંચો રૂબરૂમાં પંચનામું કરી તમામ આરોપીઓ પાસેથી શસ્ત્રોકબ્જે કરી ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૯૯ ૪૦૦-૪૦૨ તથા આર્મ્સ એકટ કલમ ૨૫ (૧)એ તથા બી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ તમામ આરોપીઓને અટક કરી એફ.આઈ.આર. તૈયાર કરી તેમજ જે જે આરોપીઓ પાસે જે જે પ્રકારના હથીયારો હતા તે મુજબ તે તે કાયદા મુજબ અલગ અલગ એફઆઈઆરો તૈયાર કરી જે તે આરોપીઓ વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોંધવા માટે પો.સ્ટે.ઓને સુપ્રત કરી સાથે હથીયારો અને આરોપીઓ પણ સોંપ્યા !

આવા મોટા રાજકારણીના માણસો એવા નામચીન અને ગુનેગારો વળી તેમાં એક તો વોન્ટેડ જે પણ ફાયર આર્મ્સ સાથે પકડાયાના સચિત્ર સમાચારો મીઠુ મરચુ (ગુનેગારો રાજકારણીઓ મેળાપીપણું) ભભરાવીને છાપામાં પ્રસિધ્ધ થતા સમગ્ર જિલ્લામાં ઉતેજના સાથે ચર્ચાઓ ચાલી ખાસ તો પોલીસ દળમાં અને કાયદાના વિશેષજ્ઞોમાં આ ધાડના હેડ નીચે પોલીસે સીધ્ધો જ શ્રી સરકાર તરફે ગુન્હો દાખલ કરતા આશ્ર્ચર્ય અને નવાઈ સાથે સારી એવી ચર્ચાઓ થઈ કેમકે દેશ આઝાદ થયા પછી આ ડેકોઈટીના હેડ નીચે આવા ગુન્હાઓ ફકત બહારવટી આ ઓ અને તે ગેંગના સાગ્રીતો સામે જ નોંધાયેલા જે તે વખતે ‘ગેંગકેસ’ કહેવાતા ! જે ગેંગકેસ નોંધવામાં ખૂબ લાંબી પ્રોસીજર હતી જેમાં જટીલ લખાપટ્ટી ઉપરાંત અગાઉ દાખલ થયેલી એફઆઈઆરો, અમુક નિવેદનો, પંચનામાઓની નકલો ધરપકડ કર્યાના દાખલાઓ વિગેરે મશાલા એકઠા કરી પૂરી પૂર્વ તૈયારી કરી અમુક જ અનુભવી અને નિષ્ણાંત અધિકારીઓ શ્રી સરકાર તરફે આવી ફરિયાદ આપતા તેને બદલે આ સીધો જ ગેંગ કેસ નોંધાતા રાજયમાં છાપેલા કાટલા જેવા હાર્ડ કોર ક્રીમીનલો ને વિના વિલંબે બુક કરવાના એક નવા કાયદાકીય હથીયાર રૂપી સાધનનું ઉદઘાટન થયું ! પછી તો જયદેવને આ કાયદાકીય હથીયારનો પ્રાયોગીક પંચનામું કરી ઉપયોગ કરવાની એવી ફાવટ આવી ગઈ કે આવા આરોપીઓ આ સેશન્સ ટ્રાયલ ગુન્હામાંથી જામીન ઉપર છૂટવામાંજ ત્રાહીમામ પોકારી ગયા અને જામીનના ફાંફા પડવા માંડયા.

આ કેસ થતા એટલે કે આરોપીઓ મોટા પદાધિકારી રાજકારણીના અંગત ઓપરેશનના જ માણસો હોવાની ચર્ચા થવાલાગતા એવી વાત પણ ચાલી કે હવે તો જયદેવની બદલી નકકી જ અગાઉ જણાવ્યા પ્રમાણે આમેય જયદેવને હવે ભાવનગર જિલ્લામાં નોકરીકરવાની જરા પણ ઈચ્છા ન હતી. તેના અનેક કારણો હતા. પરંતુ મુખ્ય કારણ આજીલ્લાનું વરતેજ ગામ જે ભાવનગરને અડીને જ આવેલુ હતુ જે જયદેવનું વતન હતુ વરતેજ ગામ આઝાદી પહેલા રાજાશાહીમાં અને આઝાદી પછી પણ રાજકીય રીતે સક્રિય અને અગ્રેસર હતુ અંગ્રેજોના શાસન દરમ્યાન મહાત્મા ગાંધીજીએ વરતેજ માં સને ૧૯૨૫માં તમામ ક્ષત્રીયોનું સંમેલન યોજેલું આઝાદી પછી લોકસભાની ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષના આર.કે. અમીન ધંધુકા મત વિસ્તાર અને ધારાસભા શિહોરમત વિભાગમાંથી જનસંઘના હરીસિંહજી ગોહિલને ચૂંટીને મોકલતા આ મત વિસ્તારમાં વરતેજ ગામની સક્રિય ભૂમિકાહતી આજ કારણસર સને ૨૦૦૬/૨૦૦૭ દરમ્યાદ સંસદ ધારાગૃહોનાં વિસ્તારોનાં નવેસરથી સિમાંકન મુદે સૌરાષ્ટ્ર વિભાગમાં રજૂઆત માટે રાજકોટ હેમુગઢવી હોલ ખાતે કેન્દ્રીય સીમાંકન સમિતિએ મીટીંગ યોજેલી. જે ચર્ચામાં લગભગ  તમામ વિસ્તારોનાં સીમાંકન શાંતીથી થયેલા પરંતુ વરતેજ ગામનો ભાવનગર શહેરમાં સમાવેશ કરવો કે ઘોઘા મત વિસ્તારમાં કરવો તે મુદે રાજકીય રીતે ખુબ ગરમા ગરમી થતા ત્યાં બંદોબસ્તમાં હાજર રહેલ પોલીસ ઈન્સ્પેકટર સરવૈયા મહાવિરસિંહ કે જેને ખબર હતી કે વરતેજ જયદેવનું વતન છે. આથી ફોન કરી જયદેવને કહ્યું ભાઈ તમારૂ ગામતોખરૂ કોઈ રાખવા તૈયાર નથી ! જયદેવે હંસીને જવાબ આપેલો કે રાજસ્થાનમાં સમાવેશ કરાવીદેવો ગુજરાત વાળાને જરૂરત નથી. ટુંકમાં રાજકીય રીતે સક્રિય અને અગ્રેસર હોઈ તે સંજોગોમાં ખોટી રીતે આક્ષેપો થાયતો હવે પોતે ૨૧-૨૨ વર્ષની નોકરી પુરીકરતા પ્રથમ પ્રમોશન આવતું હોય તો તે પણ અટકે ! આથી જયદેવ બીન્દાસ રીતે બદલીના ભય વગર ફરજ બજાવતો હતો કે બદલી થાય તે જ બરાબર છે. આથી છુટા હાથે ફોજદારી કરતો હતો.

સામાન્ય રીતે જિલ્લાના તમામ અધિકારીઓ અને પોલીસ સ્ટેશનનાં ફોજદારોની ક્રાઈમ તથા કાયદો અને વ્યવસ્થાની મીટીંગ મહિને એક વખત જિલ્લા પોલીસ વડાની કચેરીએ યોજાતી હોય છે. જેમાં પોલીસવડા દરેક પોલીસ સ્ટેશનમાં માસ દરમ્યાન બનેલા ગુન્હાઓ અને તેની પ્રગતી અંગે વાકેફ થઈ કેટલા ગુન્હા વધ્યા, કેટલા અટકાયતી પગલાઓ લેવાયા અને કેટલા આરોપીઓ કેટલા સમયથી પકડવા ઉપર બાકી છે એટલે કેવોન્ટેડ અને એબ્સ્કોન્ડર કે નાસતા ફરતા છે તેની ચર્ચા કરી તેને પકડવા માટે ખાસ સુચનો પણ કરતા હોય છે. ખાસ તો જયારે કોઈ ચૂંટણીઓ નજીક આવી રહી હોય ત્યારે અગાઉની ચૂંટણીઓ દરમ્યાન ચૂંટણી સંબંધે બનેલ ગુન્હાઓનાં નિકાલ અને આરોપીઓ પકડાયા અંગેની ખાત્રી ચૂંટણી કમિશન કરતુ હોય છે. તે સમયે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હતી. આથી આવી એક ક્રાઈમ કોન્ફરન્સમાં ચર્ચા દરમ્યાન વરતેજ પોલીસ સ્ટેશનમાં ગત ચૂંટણી દરમ્યાન એક ગુન્હો આરોપી પકડવા ઉપર બાકી હોવાથી ઘણા સમયથી તપાસ તે કારણે પેન્ડીંગ પડી હતી તેની ચર્ચા થઈ. આરોપી બહુ મોટા ગજાના ખાસ લાલ લેમ્પ વાળી કાર ધરાવતા (મંત્રીવર્ય) રાજકીય પદાધિકારી હતા આવા કિસ્સામાં બિચારી પોલીસ શેહશરમમાં જ રહે કે લાજ કાઢે (બીચારા ચિઠ્ઠીના ચાકર કાંઈક કરે તો તુરત બદલી!) પરંતુ ચૂંટણી કમિશન તો ગમે તે હોય તેઓતો તમામને ‘એક જ લાઠીથી ચલાવતા હોય છે.’ આથી પોલીસ વડાએ મીટીંગમાં તમામને જેમ ‘બીડુ ફેરવે તેમ’ પૂછયું કે આ આરોપીને કોણ પકડશે? સમગ્ર મીટીંગમાં પીનડ્રોપ સાયલન્સ હતુ થોડીવારે ધીમેથી જયદેવે હાથ ઉંચો કરી પોતે પકડશે તેમ ઈરાદો જાહેર કર્યો (બીડુ ઝડપ્યું!) તમામ અધિકારીઓ આશ્ર્ચર્યથી તેને જોઈ રહ્યા. જોકે બેફામ બનેલા જયદેવને તમામ સારી રીતે જાણતા જ હતા. પરંતુ આકામ બહુ જોખમી અને વિવાદી પણ હતુ પરંતુ તેનું પરિણામ જયદેવ જાણતો હતો કે જોખમમાં બહુ બહુતો બદલી થાય બીજુ શું થાય? શાયર સાગર ત્રિપાઠીના શેર માફક’ જબ હોંસલા બનાલીયા ઉંચી ઉડાન કા, તબ દેખના ફીજૂલ હૈ’ કદ આસમાન કા.’ (જયારે ઉંચી ઉડાન ભરવા નો સંકલ્પ કરી લીધો હોય તો જોઈ લેજો કે આકાશનું કદ પણ નકામુ થઈ જશે.

પોલીસ વડાએ આતુરતાથી જયદેવને પુછયું ‘કૈસે એરેસ્ટ કરોગે?’ જયદેવને અગાઉનો આવો જ મોટો વજનદાર રાજકીય નેતાને એરેસ્ટ કરવાનો મૂળી પોલીસ સ્ટેશન જી. સુરેન્દ્રનગરનો સારો એવો અનુભવ તો હતો જ, તેથી ઠંડા કલેજે કહ્યું કે ‘સાહેબ માનનીય આરોપી દર શનિ-રવિ ગાંધીનગરથી ભાવનગર આવતા જ હોય છે. અને તેના વાયરલેસ મેસેજ પણ લોકલ ઈન્ટેલીજન્સ બ્રાંચમાં અગાઉથી જ આવતા હોય છે. જેથી તેઓ કયારે કેટલા વાગ્યે ભાવનગર આવવાના છે તેની જો મને આગોતરી જાણ થાય તો હું વરતેજ હાઈવે ઉપર જ ઉભો રહું અને તે લાલ લેમ્પવાળી કાર ને વરતેજ પોલીસ સ્ટેશનમાં લેવરાવી તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી તેમની ધરપકડ જેતે ગુન્હામાં કરવામાં આવે છે તે જાણ કરીને વરતેજ પોલીસ સ્ટેશનનાં એરેસ્ટ રજીસ્ટરમાં નોંધ કરી સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવી, વરતેજ ફોજદારને લેખીત યાદી આપીને વધુમાં તેમને એરેસ્ટભ કર્યા અંગેની વિધાનસભાના અધ્યક્ષ શ્રીને વિગત વાર જાણ કરવા જણાવીશ આ સાંભળીને કડક અને તટસ્થ પરંતુ શાણા પોલીસ વડાએ કહ્યું અચ્છી બાત હૈ મગર ઈસ કિસ્સેમે ઐસા નહી કરના હૈ, સીબીઆઈ જૈસે સીઆરપીસી કલમ ૨૯૯ (૧) કે મુતાબીક બડી હસ્તીયા કે ખીલાફ બીના એરેસ્ટ ચાર્જશીટ અદાલતમેં પેશકરતી હૈ (ગેરવ્યાજબી વિલંબ, ખર્ચ કે અગવડ વગર આરોપીને હાજર કરી શકાય તેમ ન હોય તો જ !) ઉસ મુતાબીક વરતેજ દરોગા કરેગા!! આમ મીટીંગનો ચર્ચાનો આમુદો પૂરો થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.