Abtak Media Google News

યુવતીના લફરા બાબતે મિત્રને ડખ્ખો થતા સમાધાન દરમિયાન થયેલી બોલાચાલીનો બદલો લેવા હત્યા કરાઇ

શહેરના કોઠારિયા રોડ પર આવેલા હરિદર્શન મોલ નજીક ગઇકાલે બાવાજી યુવાનની થયેલી કરપીણ હત્યા પાછળ મિત્રનું પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું અને સમાધાન દરમિયાન થયેલા ડખ્ખામાં મિત્રનું ઉપરાણું લેતા બાવાજી યુવાનને ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી આતરડા બહાર કાઢી નાખતા હત્યા કર્યાનું બહાર આવ્યું છે. આજી ડેમ પોલીસે હત્યાના ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાવડી ખાતે આવેલા આંગન રેસિડેન્સીમાં રહેતા રાહુલભારથી સુરેશભારથી ગૌસ્વામી નામના ૨૪ વર્ષના બાવાજી યુવાનની ગઇકાલે કોઠારિયા રોડ પર હરિદર્શન મોલ નજીક જયુ મઢ, દિવુ જાડેજા, દેવો જાડેજા અને દિવ્યેશ લાવડીયા નામના શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની મૃતકના પિતા સુરેશભારથી નારણભારથી ગૌસ્વામીએ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક રાહુલભારથીના કોઠારિયા રોડ પર રહેતા મિત્ર વિભા ભરવાડને બે દિવસ પહેલાં કરણ સાથે પ્રેમ પ્રકરણના કારણે ઝઘડો થયો હતો. કરણને તેનું પ્રેમ પ્રકરણ સંકેલી લેવા અંગે જણાવતા કરણના સાગરીતો જયુ આહિર, દિવુ જાડેજા, દેવો જાડેજા અને દિવ્યેશ લાવડીયા સહિતના શખ્સો વિભા ભરવાડને માર માર્યો હતો.

વિભા ભરવાડને માર માર્યાની પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાને વાત કરતા તેઓએ બધાને સમાધાન માટે બોલાવ્યા હતા અને બધાને સમાધાન થઇ ગયા બાદ રાહુલભારથી સમાધાનમાં ગયો હતો અને તેને દિવુ જાડેજાને મા સામે ગાળ દેતા દિવુ જાડેજાને માતા ન હોવાથી તે ઉશ્કેરાયો હતો અને પોતાની પાસે રહેલી છરીના બે ઘા રાહુલભારથીને ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયો હતો.

રાહુલભારથીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં ફરજ પરના તબીબે મૃત્યુ જાહેર કરતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડા સહિતનના સ્ટાફે ચારેય સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.