Abtak Media Google News

૧૦ હજારથી વધુ સગર્ભા માતાઓને કરાયું માતૃશક્તિ પેકેટનું વિતરણ: કોરોનાના કહેર વચ્ચે જિલ્લાની ૧૩૭૩ આંગણવાડી પોષણયુક્ત રાજ્યના નિર્માણમાં કાર્યરત

યુદ્ધના મેદાનમાં શત્રુને પરાસ્ત કરવા માટે શસ્ત્ર સરંજામની સાથે શારીરિક અને માનસિક મજબુતી એટલી જ આવશ્યક છે. ત્યારે લોકડાઉનના સમયમાં કોરોના નામના શત્રુને હરાવવા માટે સરકાર લોકોના આરોગ્ય માટે સવિશેષ પગલાઓ લઈ રહી છે. તેની સાથે લોકોના શારીરિક સ્વાસ્થ્ય પર અસર ન પડે તે માટે પણ સંનિષ્ઠતાથી કામ કરી રહી છે. લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી એવા સમયે રાજ્યના બાળ અને મહિલા કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓના બાળકો, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને લોકડાઉનના સમયમાં પણ પોષણયુક્ત આહાર મળી રહે તેવા શુભહેતુથી આંગણવાડીની બહેનો દ્વારા દરેક ધરે જઈને પૂરક પોષણ આહાર આપવામાં આવી રહ્યું છે.

રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા અને પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાર્યરત ૧૩૭૩ આંગણવાડી કેન્દ્રોમાં પૂરક પોષણ આહાર આપવામાં આવી રહ્યો છે. રાજ્યનું એકપણ બાળક કુષોષિત ન રહે તેવી નેમને પુરી કરવા લોકડાઉનના સમયમાં આઈ.સી.ડી.એસ દ્વારા જિલ્લાના ૬ માસથી ૩ વર્ષની ઉંમરના ૫૧,૨૧૧ બાળકોને બાલશક્તિના ૪ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ૩૯,૫૫૩ બાળકોને  બાલશક્તિના પેકેટનું વિતરણ થઈ ગયું છે.

વર્તમાનની સાથે ઉજ્જવળ ભવિષ્યનું ચિંતન કરતી રાજય સરકાર ભવિષ્યની પેઢી કુપોષિત ન જન્મે એ માટે જિલ્લાની ૧૦,૧૪૦ સગર્ભા માતા અને ૯,૮૮૮ ધાત્રી માતાઓને ૪ પેકેટ માતૃશક્તિના પહોંચાડવામાં આવ્યા છે. તદ્ઉપરાંત શાળાએ ન જતી ૧૧થી ૧૪ વર્ષની કિશોરીઓ અને ૧૫થી ૧૮ વર્ષની ૩૭,૧૨૦ કિશોરીઓને પૂર્ણા શક્તિ પેકેટ આપવામાં આવ્યા હોવાનું દવેએ જણાવ્યું હતું.

લોકડાઉનના સમયમાં બાળકો, સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓ પોષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારના બાળ અને મહિલા કલ્યાણ વિભાગ તેમજ આંગણવાડીની બહેનો સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરી રહી છે. તેમજ કોરોનાની મહામારીને નાથવા માટે આંગણવાડીની બહેનો ડોર ટુ ડોર સર્વેલન્સની  કામગીરીમાં સહભાગી બની છે. અને વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, સોશ્યિલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જેવી  જાગૃતિના સંદેશાઓ આપીને મહત્વની ભુમિકા બજાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.