Abtak Media Google News

પ્રોપર્ટી ટેકસ, વીજ બીલ અને વાહન કરમાં માફી-રાહતો, ઉદ્યોગ-વ્યવસાયિકો માટે પ્રોત્સાહક સબસિડી, હાઉસીંગ સેકટરને રાહતો આપવા સહિતની જોગવાઈ

કોરોના મહામારીથી ઉદ્ભવેલી પ્રતિકુળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુન: વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રી રૂપાણીએ રૂા.૧૪૦૦૦ કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી હતી. આફતને અવસરમાં પલટવા માટે પ્રોપર્ટી ટેકસ, વીજ બીલ અને વાહન કરમાં માફી-રાહતો, ઉદ્યોગ-વ્યવસાયીકો માટે પ્રોત્સાહક સબસીડી, હાઉસીંગ સેકટરને રાહતો આપવા સહિતની જોગવાઈ પેકેજમાં છે. પેકેજ માટે રાજ્ય સરકારે મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સામાજીક આગેવાનો, ઉદ્યોગ-વેપાર મંડળો અને વિવિધ સમાજના પ્રતિનિધિ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારબાદ સંવેદનશીલ પેકેજની જાહેરાત થઈ હતી. વાણિજ્યિક એકમોને વર્ષ ૨૦૨૦-૨૧ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં ૨૦%ની માફી આપવામાં આવશે. રૂપિયા ૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજ્યના  અંદાજિત ૨૩ લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ ૨૦૨૦-૨૧ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સજો ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી ચુકવવામાં આવશે તો ૧૦%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત ૭૨ લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. ૧૪૪ કરોડની રાહત મળશે. માસિક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂ. ૬૫૦ કરોડના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે ૯૨ લાખ વીજ ગ્રાહકોને મળશે. અંદાજે ૩૩ લાખ વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે એલટી વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે-૨૦૨૦નો ફિક્સ્ડ્ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી કુલ રૂ. ૨૦૦ કરોડનો ચાર્જ માફ કરવામાં આવશે. આ ઉપરાંત વીજળીનું એચટી (ઔધોગિક) કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને મે ૨૦૨૦ના ફિકસ ચાર્જિસનું રૂ. ૪૦૦ કરોડનું ભારણ હાલમાં ન પડે તે હેતુથી આ ફિક્સ ચાર્જિસના ચુકવણા માટે મુદત વધારી સદર રકમ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦ એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ આપવામાં આવે છે.

વિવિધ નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ, શોપીંગ સેન્ટરો અને મોલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવાઓ જેવી કે વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટાન્સપોર્ટની ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડીઓ, બ્યુટી પાર્લર, સલુન ચલાવતા દુકાનદારોને કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના કારણે આવક થઇ ન હતી. આથી તેમને આર્થિક રાહત આપવાના હેતુથી જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવામાં આવશે. આનો લાભ રાજયના ૩૦ લાખ જેટલા દુકાનદારો / વેપારીઓ / કારીગરોને મળશે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮૦ કરોડની આર્થિક રાહત આપવામાં આવશે.

લોક ડાઉનના કારણે નાગરિકોને પરિવહન માટે નિયંત્રણ હોવાથી ખાનગી લક્ઝરી બસો (કોન્ટ્રાકટ કેરેજ બસો) તથા જીપ, ટેક્ષી (મેક્સી કેબ)ના વગેરેના ધંધાને ઘણી મોટી અસર થઇ છે. આવા સંજોગોમાં તેમને ૧લી એપ્રિલ-૨૦૨૦ થી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીના ૬ મહિનાના રોડ ટેક્ષ ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. જે અંતર્ગત ૬૩ હજાર વાહન ધારકોને રૂ. ૨૨૧ કરોડની રોડ ટેક્ષ માફી મળશે.

આ ઉપરાંત રાજ્યના માર્ગ અને મકાન, સિંચાઇ, પાણી પુરવઠા અને નર્મદા જેવા વિભાગોના સરકારી કામો માટે કોન્ટાક્ટરોને હંગામી ધોરણે વીજ કનેક્શન આપવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન પ્રોજેક્ટનું કામ બંધ હોવાથી આ દરમિયાન ચાર્જ કરવામાં આવેલ ફિક્સ્ડ વીજ બિલને માફ કરીને રૂ.૫ કરોડની સહાય આપવામાં આવશે.

રાજ્યમાં કોવિડ-૧૯ની મહામારીની પરિસ્થિતિને કારણે ધીમી પડેલી ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂ.૭૬૮ કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે.

રાજ્યમાં ઔધોગિક ક્ષેત્રે ટેક્ષટાઇલ ઉદ્યોગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેમજ વિપુલ પ્રમાણમાં રોજગારી પુરી પાડે છે. આવા ટેક્ષટાઇલ ઉદ્યોગોને રૂ. ૪૫૦ કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં કરવામાં આવશે.

કોવિડ-૧૯ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔધોગિક એકમોને લાભ મળી રહે તે જરુરી છે. જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ રૂ.૧૫૦ કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે.

રાજ્યના ૩૨૦૦ કરતા વધુ વેપારીઓને રૂ.૧,૨૦૦ કરોડનું પડતર વેટ અને જીએસટી રિફંડ ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં  ભીડમાંથી રાહત મળશે. રાજ્યના ૨૭ હજારથી વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં રૂ.૧૯૦ કરોડની સબસીડીની રકમ ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચુકવવામાં આવશે. સોલાર રુફ ટોપ યોજના હેઠળની ૬૫૦૦૦ કુટુંબો માટેની રુા. ૧૯૦ કરોડની સબસીડી ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં આપવામાં આવશે. ગુજરાત એગ્રો-ઈન્ડમસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને રૂ.૯૦ કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં આપવામાં આવશે.

જીઆઇડીસીના ઉદ્યોગકારોના બાકી લેહણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત,  ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજની રકમ ૫૦% માફી અને દંડકીય વ્યાજની રકમ ૧૦૦% માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજનાથી ઉદ્યોગકારોને રૂપિયા ૧૩૩ કરોડની રાહત મળશે. જીઆઇડીસીના નોટીફાઇડ વિસ્તારના ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજ ઉપર ૫૦ ટકા વ્યાજ માફી મેળવવા માટે તમામ ચુકવણા ચોક્કસ સમયમર્યાદામાં ભરપાઈ કરવાના રહેશે. આ યોજના અંતર્ગત ૧૫૩૧૫ ઉદ્યોગકારોને રૂ.૯૫ કરોડની રાહત મળશે.  જી.આઇ.ડી.સી. દ્વારા પ્રતિ વર્ષ ૨ ટકા લેખે વણવપરાશી દંડ વસુલ લેવામાં આવે છે. ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઇ વણવપરાશી રહેલ પ્લોટનો દંડ વસુલ લેવાનો રહેશે નહી. સદર નીતિથી  અંદાજે રૂ.૬૦ કરોડની રાહત આપવામાં આવશે. જેનો ૩૭૩૩ ઉદ્યોગકારોને લાભ મળશે. જીઆઇડીસીમાં આવેલ યુનિટ કે જે બે વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલા હોય તો વણવપરાશી દંડ પ્રતિ વર્ષ ૨૦ ટકાના સ્થાને ફકત ૫ ટકા વસુલ કરવામાં આવશે.  વધુમાં આ પ્રકારના કિસ્સાઓમાં તબદીલી ફી ઓછી કરી ૧૫ ટકાના સ્થાને ૧૦ ટકા વસુલવામાં આવશે. જે અન્વયે ૧૯૯૧ ઉદ્યોગકારોને રૂ. ૪૦.૪૨ કરોડનો લાભ મળશે.

જીઆઈડીસીને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતા તા.૩૧-૦૩-૨૦૨૦ તથા તા.૩૦-૦૬-૨૦૨૦ના હપ્તાની ચુકવણીનો સમયગાળો છ મહિના માટે લંબાવી આપવામાં આવશે.  વધુમાં, માર્ચ થી જુનનો સમયગાળો સૌથી વધુ અસરગ્રસ્ત હોઈ આ ત્રિ-માસિક સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત કરવામાં આવશે નહિ. આ નિર્ણયથી ઉદ્યોગોને રૂ. ૨૬.૮૦ કરોડની રાહત મળશે. જી.આઈ.ડી.સી. દ્વારા બાકીના સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજની વસુલાત ૭%ના રાહત દરે કરવામાં આવશે જેનાથી ઉદ્યોગોને રૂપિયા ૧૪.૩૦ કરોડની રાહત મળશે. જેનાથી ૩૧૦૦ ઉદ્યોગકારોને લાભ  થશે.

વર્ષ ૨૦૨૦-૨૧ માટેની જીઆઇડીસી દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવશે. આ નિર્ણયથી  ૭૨૭ નવા ઉદ્યોગ સાહસિકોને જમીન સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવી શકાશે જેનાથી અંદાજે રૂ. ૩૮.૯૮ કરોડની રાહત મળશે. વધુમાં, આ નિર્ણયથી જીઆઇડીસીની વસાહતોમાં હયાત ઉદ્યોગોને ફાળવણીદર આધારિત વિવિધ ફી તથા ચાર્જીસમાં અંદાજિત રૂ.૨૧.૪૫ કરોડની રાહત મળશે. જેના થકી ૨૭૦૦ ઉદ્યોગકારોને લાભ મળશે.

આ ઉપરાંત જીઆઇડીસી દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિતના કરવાના ઉદેશથી નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચુકવણીમાં સુવિધા મળી રહે તે માટે ત્રિમાસિક હપ્તાઓમાં ચુકવણુ કરવાની સુવિધા આપવામાં આવે છે. અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા સુક્ષ્મ, લઘુ તથા મધ્યમ કદના ઉદ્યોગોને કરવામાં આવતા ધિરાણના સરેરાશ વ્યાજ દરને ધ્યાને લેતાં નિગમ દ્વારા હાલના વ્યાજ દરને ૧૨% થી ઘટાડીને ૧૦% કરવામાં આવશે. જેનાથી ૭૨૭ ઉદ્યોગકારોને લાભ થશે. આ ઘટાડાથી રૂ.૧૬.૧૨ કરોડની વ્યાજની રાહત આપવામાં આવશે.

જીઆઇડીસી દ્વારા ઉદ્યોગકારોને પ્લોટની ફાળવણી કરવામાં આવે છે, જેમાં ઉદ્યોગકારને પ્લોટનો વપરાશ શરુ કરવા ૩-૪ વર્ષનો સમયગાળો આપવામાં આવે છે. જો આ મોરેટોરિયમ પીરીયડ દરમિયાન કોઇ કારણસર મિલકતનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય તો ઉદ્યોગકાર ધ્વારા મિલકતના વપરાશની સમયમર્યાદા વધારી આપવા જીઆઇડીસીને રજૂઆત કરવામાં આવે છે.

હાઉસિંગ ક્ષેત્ર રાજ્યની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. આ ક્ષેત્રમા થતા કામોથી લોકોને ઘરનું ઘર તો મળે જ છે સાથે સાથે કડિયા કામ, સુથારીકામ, રંગકામ, ટાઇલ્સનું કામ, ફર્નિચર એવા અનેકવિધ કામો દ્વારા લાખો લોકોને રોજગારી પણ મળે છે. તદુપરાંત સિમેન્ટ, સ્ટીલ અને અન્ય રો-મટિરિયલના ઉત્પાદન અને વપરાશથી અર્થવ્યવસ્થા મજબૂત થાય છે.

રાજ્યના ૨૪ લાખ ખેડૂતોને ૩૯ હજાર કરોડ રુપિયાનું ટુંકી મુદતનું પાક ધિરાણ શુન્ય ટકા વ્યાજ દરે સહકારી બેન્કો, રાષ્ટ્રીયકૃત બેન્કો વગેરે મારફતે આપવામાં આવે છે. તેનું સંપૂર્ણ ૭% વ્યાજ  સરકાર (૪% ગુજરાત સરકાર અને ૩% ભારત સરકાર) ચુકવે છે. લોકડાઉનના કારણે આ ધિરાણના રીપેમેન્ટની મુદત સરકાર દ્વારા પાંચ મહિના વધારી આપવામાં આવી છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૧૦ કરોડની ફાળવણી કરવામાં આવશે.

વેટ-જીએસટી કાયદા હેઠળ વહીવટી સરળતા

ગુજરાત વેટ કાયદા હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭ અને તા.૦૧.૦૪.૨૦૧૭થી તા.૩૦.૦૬.૨૦૧૭ સુધીની આકારણીની કામગીરીમાં રૂા.૧૦ કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટીસ પરત ખેંચવામાં આવશે. આ વેપારીઓ પૈકી આંતરરાજ્ય વેચાણો ધરાવતા વેપારીઓના કિસ્સામાં કેન્દ્રીય કાયદા મુજબ માત્ર ધારાકીય ફોર્મ પુરતી જ આકારણી હાથ ધરાશે.  આ પગલાંથી એક લાખથી વધુ કરદાતાઓને લાભ થશે. પરંતુ અન્વેષણના કેસો, બોગસ બિલિંગના કેસો, વેરાશાખમાં વિસંગતતા હોય તેવા કેસો, રિફંડનાં કેસો, જે કિસ્સાઓમાં અગાઉ મોટી રકમનું માંગણું ઉપસ્થિત થયું હોય તેવા અને જે કિસ્સામાં મોટી રકમની વેરાશાખ જી.એસ.ટી.માં તબદીલ કરી હોય તેવા તમામ કેસોમાં નિયમિત આકારણી હાથ ધરાશે. વેરા સમાધાન યોજના-૨૦૧૯ હેઠળ ૧૫ માર્ચ ૨૦૨૦ સુધી પ્રથમ હપ્તો ભર્યો છે તેઓને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે. આ યોજનાથી આશરે ૨૬ હજાર વેપારીઓને લાભ મળશે. વેટ અને કેન્દ્રીય કાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.